Sunday, August 30, 2009

"એક ફૂલ ચમનમાં મહેકી ઊઠશે, કળીની માવજત કરી ફૂલને ખીલવા દો."

રાતની નીરવતાને ચીરતી ડોરબેલ અચાનક બે વખત ઉપરા ઉપરી રણકી ઊઠી અને કાગનિંદ્રામાં પોઢેલા તમે દિગ્વિજયસિંહ ઝાલા જાગી ઊઠ્યા. અચાનક રણકતી આવી ડોરબેલથી ટેલાયેલા તમે દિગ્વિજયસિંહ ટેબલ લેમ્પ ઓન કરી, ચોપ્પની આંખો પર બેતાલાના ચશ્મા ચઢાવી સિંહની ત્વરિતતાથી મેઈનડોર ખોલ્યું અને તમારી સામે હજુ તો જેણે આંખો પણ નથી ખોલી એવું એક જીવન ભોંય પર સફેદ કપડામાં લપેટાયેલું હતું. તમે એક પિતા સહજ લાગણીથી એને તેડીને ચારે તરફ નજર દોડાવી. પરંતુ તમારી અપેક્ષા મુજબ જ તમારી સામે છાતી કાઢીને ઊભેલા રાતના અંધકાર સિવાય કોઈ જ ન હતું. તમે તમારા મકાનમાં અંદર આવી મેઈનડોર બંધ કરી લાઈટ ઓન કરી. બરાબર સાડા ત્રણનો સમય તમારી દિવાલ ઘડીયાળમાં થયો હતો અને કદાચ એટલા જ દિવસનો સમય તમારા હાથમાં રહેલા બાળકના જન્મને થયો હશે.

તમે દિગ્વિજયસિંહ ઝાલા મૂળ કાઠિયાવાડના રાજપૂત ઝાલા પરિવારના અને વર્ષોથી સુરેન્દ્રનગરમાં રહેતા હતા. યુવા અવસ્થાથી જ તમારા વિચારો ક્રાંતિકારી હતા અને તમારા આવા વિચારોને તમારા માતા-પિતા તરફથી યોગ્ય દિશા અને પ્રોત્સાહન મળ્યું હતું. એકવીસ વર્ષની યુવાન વયે એક ઢળતી સાંજે, તમે સાયન્સ ગ્રેજ્યુએટની ડિગ્રી લઈ તમારા ઘર તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં પડેલી એક કચરાપેટીમાંથી કોઈ નાના જીવના રૂદનનો અવાજ કાને પડતાં તમે ત્યાં ગયા અને એક બાળકને તમે કચરાપેટીમાં જોયું. હજુ તો તેના જન્મને બે દિવસ પરાણે થયા હશે અને તમે તે વખતે પ્રથમ વખત જ આવા તરછોડી દેવાયેલા નવજીવનને ઊઠાવી ગળે લગાડ્યું હતું. આ ઘટનાએ તમારા મનમાં સમાજ અને સમાજની વ્યવસ્થા વિષે અનેક સવાલો પેદા કર્યા હતા. દિગ્વિજયસિંહ એ સમયે તમે વિચારે ચઢ્યા હતા અને તમારૂં મન સવાલો કરી રહ્યું હતું, "શું આદમ અને ઈવ વચ્ચેનું આકર્ષણ ગુનો છે? શું એક નર અને નારીનો પરસ્પરનો પ્રેમ ગુનો છે? જાનવરો પણ પોતાના સંતાનોને શિકાર થતા બચાવવાનો મરણિયો પ્રયાસ કરે છે ત્યાં આવી રીતે સૃષ્ટિના સૌથી બુધ્ધિશાળી પ્રાણી-માણસ દ્વારા આવા નવજીવન-નવજાત શિશુને તરછોડવું યોગ્ય છે? જ્યારે શિશુને પાળવા, પોષવા, ઊછેરવાની સક્ષમતા નથી, તૈયારી નથી તો પછી તેવા કૃત્યો જ શા માટે? માનવજાતના કહેવાતા પ્રેમી-પંખીડાઓ ખરેખર પ્રેમનો સાચો અર્થ સમજે છે ખરા? આવા કાયર માતા-પિતાના કૃત્યોનો દંડ આવા નિર્દોષ શિશુને શા માટે? જે સમાજમાંથી જ આવા બાળકો ઉત્પન્ન થાય છે તે જ સમાજ કયા હકથી આવા બાળકોને "પાપનું ફળ", "ગંદકીનો કીડો", "હરામી" જેવા વિશેષણો આપે છે?"

અને આવા જ વિચારોથી પ્રેરાઈને તમે સમાજના આવા તરછોડાયેલા બાળકોને એક નવજીવન આપવાનું શરૂં કર્યું હતું. અને તમારા મકાનને જ આ શુભ હેતુસર ઊપયોગમાં લીધું. તમારી ત્રેવીસ વર્ષની ઉંમરે તમે તમને સાથ આપવા તૈયાર એવી એક અનાથ કન્યા સાથે ગૃહસંસાર શરૂ કર્યો અને તમે તમારા પત્ની રૂપકુંવરબા સાથે આવા બાળકોના યોગ્ય ઊછેર અને શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવાનું શરૂ કર્યું. તમારી વારસાગત મિલકતનો ઘણો બધો ભાગ તમે વાપરી ચૂક્યા હતા. એક પછી એક તમારા ત્યાં આવા બાળકોની સંખ્યા વધતી ચાલી અને આજે બરાબર તમારી ચોપ્પન વર્ષની ઊંમરે આ બાળકના આવવાની સાથે તમારા પરિવારમાં ત્રીસમા સંતાનનું આગમન થયું હતું.

સહેજ અવાજ થતાં તમે તમારા હાથમાં રહેલા બાળક તરફથી નજર હટાવી સામે જોયું. તમારી સામે તેત્રીસ વર્ષીય એ.સી.પી. રાજવીરસિંહ ઝાલા, તમારી એકવીસ વર્ષની ઊંમરે તમે અપનાવેલો તમારો મોટો પુત્ર ઊભો હતો.

દિગ્વિજયસિંહ તમારા જેવા માનવતાના કૃત્યો કરનારા જ્યાં સુધી આ ધરતી પર છે ત્યાં સુધી જ જીવન સૃષ્ટિ ધબકતી રહેશે. બાકી તો આ ભ્રષ્ટ, મૂલ્યહીન અને સ્વચ્છંદી સમાજ પાસેથી કોઈ જ વિશેષ અપેક્ષા રાખી શકાય તેમ નથી.

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

No comments:

Post a Comment