Saturday, February 26, 2022

અલખના ઓટલે દાસ બાપુ - ૬

 

દાસ બાપુ – ૬

 

“બાપુ, આ ગૌશાળામાં જે નવી ગાય આવી છે એનું વર્તન અલગ છે.” કિશોરસ્વામીએ એક નમતી સાંજે દાસ બાપુને પૂછ્યું.

“અલગ એટલે કેવી રીતનું ?” ચહેરા પર એ જ બાળ સહજ સ્મિત સાથે દાસ બાપુ એ પૂછ્યું.

આશ્રમની ઘણી ખરી વહીવટી જવાબદારી કિશોર સ્વામી એ ઉપાડી લીધી હતી. આશ્રમમાં આવનાર નિયમિત સાધકો અને મુલાકાતીઓના માટે કિશોર સ્વામી એ દાસ બાપુના ઉત્તરાધિકારી હતા. જો કે કિશોર સ્વામીના મનમાં એવી કોઈ જ વાત કે વિચાર ન હતો.

“બાપુ, ગયા અઠવાડિયે જે ગાય આપણા આશ્રમમાં દાનમાં આપવામાં આવી છે એ ગાયને એક વિચિત્ર ટેવ છે. પથ્થર મોઢામાં લઇ એ બીજા પથ્થર કે દિવાલ જોડે સતત ઘસે રાખે છે અને આ ક્રિયા દરમ્યાન સાહજિક જ એના મોઢામાંથી લાળ પડતી રહે છે.” કિશોર સ્વામીએ ટૂંકમાં જણાવ્યું.

“તો એ એની પસંદગીનું કાર્ય હશે એવું માનવાનું.” એક માયાળુ સ્મિત સાથે દાસ બાપુ એ ઉત્તર આપ્યો.

આશ્રમ જીવનમાં આવી આદ્યાત્મિક માર્ગ પર આગળ વધેલ કિશોર સ્વામીને બાપુ ના આ જવાબથી સંતોષના થયો અને એમના અસંતોષની ચાડી એમના મુખ પર દેખાઈ આવી. જે જોઈ ને દાસ બાપુ એ કહ્યું,  “આવતીકાલે સાંજે ધ્યાન અભ્યાસ બાદ મળીએ.” “ભલે” ટૂંકો પ્રત્યુત્તર આપી કિશોર સ્વામી એમની કામગીરીમાં પ્રવૃત્ત થયા.

બીજા દિવસની સાંજે આશ્રમની દૈનિક પ્રવૃત્તિથી પરવારીને કિશોર સ્વામી, દાસ બાપુની કુટીરમાં એમની સામે નીચે આસન પર બેઠા હતા.

“કર્મ કોઈને છોડતું નથી. આ વાત તો તમે સમજી જ ગયા હશો. ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જે કીધું છે એ મુજબ આત્મા અમર છે અને તે દેહ બદલે છે. જેવી રીતે આપણે જુના વસ્ત્રો ત્યાગીને નવા પરિધાન કરીએ છીએ એ જ રીતે આત્મા જુના દેહનો ત્યાગ કરી, કર્મના ફળ મુજબ નવો દેહ ધારણ કરે છે. આ ગાયના દેહમાં રહેલ આત્મા અને પરભવના સ્વભાવનો પસ્તાવો કરી રહેલ છે. દુનિયાદારીની નજરે આ વાત કદાચ માનવામાં નહિ આવે. પણ સત્ય આ જ છે. પાછલા ભવમાં એણે માનવ દેહમાં બહુ જ ધન અર્ચિત કર્યું હતું. પેલી કહેવત ની જેમ “પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ.” જીવનના અંત સમયમાં એના પરિવારજનો પણ એના જ સ્વભાવ મુજબ એની સાથે વર્તવા લાગ્યા. જયારે જીવનનો અંત આવી ગયો ત્યારે એ જીવ ને સત્ય સમજાયું પણ બહુ મોડું થઇ ગયું હતું. કર્મનું ભાથું બંધાઈ ગયું હતું અને પ્રાયશ્ચિત નો સમય ન હતો. અંત સમયે ના ધન કામમાં આવ્યું ના પરિવારજનો અને છેલ્લા શ્વાસ સમયે એના મનમાં એક ભાવ રહી ગયો, “આ ધન પથ્થરથી વિશેષ કઈ નથી.” ગુરુબાણીમાં એક વાક્ય છે, “જહાં આશા વહાં બાસા.” એ મુજબ આત્માએ માનવ દેહ છોડી દીધો પણ એનો છેલ્લો વિચાર ના છૂટ્યો. આ ભવમાં પણ એ એના પરભવના છેલ્લા વિચાર મુજબ જ કર્મ કરે છે. પથ્થર મોઢામાં નાખી ઘસે રાખે છે જોનાર સમજી નથી શકતા.” દાસ બાપુ એ કહ્યું.

“બાપુ આનું કોઈ નિરાકરણ ?” કિશોર સ્વામી એ સાહજિક જ પૂછ્યું.

“બહુ જ સરળ છે, આવતીકાલથી એને ઘાસ નીરો એમાંથી થોડું પરત લઇ એના દેખતા બીજી ગાયો ને આપવાનું. આનાથી એના મન પર એવો ભાવ જાગશે કે એના હક ની વસ્તુ દાન થઇ રહી છે. ધીમે ધીમે એનો મોઢામાં પથ્થર લઇ ઘસવાનો સમય ઘટતો જશે અને એક સમયે આ ક્રિયા સાવ બંધ થઇ જશે. આગળ હરિ ઈચ્છા.” દાસ બાપુ એ ઉકેલ બતાવ્યો અને પછી અભયમુદ્રામાં આશીર્વાદ આપતા હોય એમ હાથ ઉઠાવ્યો.

કિશોર સ્વામી ઈશારો સમજી ગયા અને બાપુને પ્રણામ કરી પોતાની કુટીરમાં જવા ઉઠ્યા.

(વાચકમિત્રો, સ્થળ અને બાપુનું સાચું નામ નથી લખતો પરંતુ મારા આબુના પ્રવાસ દરમ્યાન એક આશ્રમમાં ગાયને મોઢામાં પથ્થર લઇ જમીન પર ઘસતી જોઈ હતી. એ સમયે હું જે મહાત્માની સાથે ગયો હતો એમને મેં આવા વર્તનનું કારણ પૂછતા એમને મને આ મુજબ નો ખુલાસો આપ્યો હતો જેને આશ્રમના તત્કાલીન ગાદીપતિ શ્રી એ સમર્થન આપ્યું હતું. એ જ આશ્રમમાં બે વર્ષ પછી મારે ફરી જવાનું થયું હતું ત્યારે એ ગાય પણ ત્યાં જ હતી પણ એની પથ્થર મોઢામાં લઇ જમીન પર ઘસવાની ટેવ બદલાઈ ગઈ હતી.)


આશિષ એ. મહેતા

********************************************************************************************


Creative Commons License



અલખના ઓટલે, દાસ બાપુ - ૬    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, February 19, 2022

અલખના ઓટલે દાસ બાપુ – ૫

 

                દાસ બાપુ – ૫

“જીવનને આપણે આપણા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ એટલે જીવન અનિશ્ચિતતાથી ભરપુર લાગે છે.  પણ, એવું નથી. કર્મના સિધ્ધાંત મુજબ દરેકના જીવનમાં યોગ્ય સમયે યોગ્ય ઘટના જ બને છે. મનુષ્ય એ આ બધી ઘટના ને નિરપેક્ષ ભાવ થી જોવા ટેવાયેલ નથી એટલે માનવ મન અને સ્વભાવગત એને સુખ અને દુઃખની લાગણી થાય છે. જે સ્વાભાવિક છે. કર્મ કરવું એ મનુષ્યના હાથમાં છે એનું પરિણામ શું અને ક્યારે આપવું એ પરમાત્માના હાથમાં છે. જાણું છું કે આ બધી ફિલોસોફી હાલ તારા મગજમા નહિ બેસે. પણ હું તને એક સીધો અને સરળ રસ્તો બતાવું. જો તારું અંતરમન માને તો તું એ મુજબ કર.” દાસ બાપુ એ કૃણાલને કહ્યું.

“બોલો સ્વામીજી.” કોઈ જ પ્રકારની વિશિષ્ઠ લાગણી વગરના શુષ્ક અવાજે કૃણાલે પ્રત્યુતર આપ્યો.

“જો તારી કહાની મુજબ હાલ તારી પાસે એક માત્ર મિલકત તારા પિતા તરફથી તને વારસામાં મળેલું મકાન છે. જીવનનો કોઈ ધ્યેય નથી અને તને તારા પુત્ર રેહાન પ્રત્યે લાગણી છે બરાબર.”

“હા.”

“એક કામ કર, તું થોડા દિવસ માટે પાછો તારા ઘરે જા. તારા વકીલ સાહેબ ને મળી લે. તારા નામ પર જે મકાન છે એ તારા પુત્ર રેહાન અને સુનયનાના સંયુક્ત નામ ઉપર કરી દે અને બદલામાં સુનયનાથી કાયદાકીય રીતે અલગ થઇ જા. બધા જ કોર્ટ કેસ પુરા થઇ જાય એ પછી પાછો અહીંયા આવી જા. દેવાધિદેવ મહાદેવના શરણમાં. આમ પણ તું ઉમરની રીતે વનમાં પ્રવેશી ગયો છે. પાછો અહિયાં આવી મહાદેવની આરાધના કર. એ જ તને એની આરાધનાનો માર્ગ બતાવશે. આમ પણ વેદ, શાસ્ત્ર અને પુરાણોમાં કહ્યું છે કે મનુષ્ય જન્મ એ આત્મ કલ્યાણ માટે છે તો તું એ રસ્તે આગળ વધ. અને એવું વિચાર કે તારા જીવનમાં બનેલી આ તમામ ઘટનાઓ તને સંસારિક મોહ માયાથી  દૂર કરવા માટે ઘટી છે. રાત્રિનો બીજો પ્રહાર પૂર્ણ થવા પર છે. તું વિચાર કરી લે મારા સુઝાવ પર અને કાલે સાંજે મને શાંતિથી મળીને તારો નિર્ણય જણાવજે. આ ભોળાનાથે મને સ્વીકાર્યો એ જ તને પણ સ્વીકારશે.”

દાસ બાપુ પોતાના આસન ઉપરથી ઉભા થયા અને કૃણાલે એમને વંદન કર્યા.

------ એક વર્ષ પછી ----

દાસ બાપુ એમના આશ્રમમાં એમની કુટિરમાં ચર્ચા કરી રહ્યા હતા..

“કિશોર સ્વામી, આશ્રમમાં આવતા જતા લોકોના આઈ કાર્ડ જોઈ એમની નોંધણી કરવાની જવાબદારી હવે થી તમે સંભાળો.”

“જી બાપુ.” સામેથી કિશોર સ્વામીએ બે હાથ જોડી જવાબ આપ્યો અને કુટીરની બહાર આવ્યા.

ભગવા કપડા, રૂદ્રાક્ષની માળા, નિયમિત યોગ અને પ્રાણાયામથી સુદ્રઢ થયેલ એકવડિયો બાંધો અને ચહેરા પર શાંતિનો ભાવ.

હા, કિશોર સ્વામી એ જ કૃણાલ... દાસ બાપુ ની સલાહ માની પરત પોતાના શહેર જઈ પોતાના વકીલ સાહેબને મળી સમાધાનની વાત કરી, પંદર દિવસની મથામણના અંતે સુનયના તૈયાર થઇ ગઈ, કૃણાલની છુટાછેડાની અરજી મંજુર થઇ ગઈ અને ઘર સુનયના અને રેહાનના નામ પર તબદીલ થઇ ગયું. માત્ર બે જોડ કપડા પોતાની સાથે લઇ કૃણાલ દાસ બાપુના આશ્રમમાં આવી ગયો. દાસ બાપુ એ એનું નામકરણ કર્યું, “કિશોર સ્વામી.”

 

સમાપ્ત.



આશિષ એ. મહેતા

********************************************************************************************


Creative Commons License



અલખના ઓટલે, દાસ બાપુ - ૫    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, February 12, 2022

અલખના ઓટલે દાસ બાપુ – ૪

 

                        દાસ બાપુ – ૪

“જીવન અનેક અવનવા વળાંકો અને ઘટનાઓ થી ભરેલું છે. હું એમ માનતો હતો કે હવે મારા જીવનમાં કોઈ ખાસ વળાંક આવે એવું બાકી નથી રહ્યું. પણ, મારી માન્યતા ખોટી નીકળી. એક સાંજે ખાલી ખિસ્સા અને નિરાશા સાથે હું મારા વકીલના ટેબલ પર એમની રાહ જોઈને બેઠો હતો અને મારી બાજુની ખુરશીમાં આવી ને મારા જ જેટલી ઉમરની એક સ્ત્રી બેસી એ પણ મારા વકીલને જ મળવા આવી હશે.

કોર્ટનું પરિસર એક આગવું જ મહત્વ ધરાવતું હોય છે, કોઈ ને કોઈની હાજરીની પડી નથી હોતી. થોડી વારમાં મારા વકીલ સાહેબ આવ્યા અને મારી હાજરીની પરવા કર્યા વગર જ એ સ્ત્રી એ એની રામ કહાની શરૂ કરી. લગભગ બે કલાક સુધી એ બોલતી રહી અને હું પણ મારા વકીલ સાહેબની સાથે એને સંભાળતો ગયો. એની કહાની પૂરી થયા પછી મને મારા વકીલે કીધું, “કૃણાલ તારા કરતા તદ્દન બીજા છેડાની ઘટના એટલે આ કાજલની જીવનયાત્રા.” મેં એની અને એના મારી સામે જોયું એ એક ઔપચારિક મુલાકાત હતી કોઈ જ વાત કર્યા વગર અમે છુટા પડ્યા પણ એ પછીની ઘટનાઓ ફિલ્મી ઢબે બનતી રહી મારા અને એના કેસની તારીખો સરખી જ આવવા લાગી. અમે બંને કોર્ટમાં નિયમિત મળતા થઇ ગયા અને કોર્ટ પરિસરમાં અમારા વકીલની રાહ જોતા ઉભા રહેતા, કંટાળતા એક બીજા સાથે ક્યારે વાત- ચીત કરતા થઇ ગયા એની ખબર પણ ના પડી. ફોન નંબરોની આપલે થઇ અને પછી સોશિયલ મીડિયા દ્વારા ચેટ શરૂ થઇ. ફોર્મલ વાતો થી શરૂઆત થઇ હતી અને પસાર થતા સમયની સાથે વાતો પણ આત્મીય થવા લાગી. કાજલને એના પતિ અને સાસુ સસરા એ ઘરે થી માર મારી કાઢી મૂકી હતી એનો એક દિકરો હતો જે એના પતિ પાસે હતો. એના માતા-પિતા પણ અવસાન પામ્યા હતા અને સંસારમાં સ્ત્રી ની કોઈ દુશ્મન હોય તો એ સ્ત્રી જ છે. એ મુજબ કાજલ ને એના ભાઈ એ પણ એની ભાભીના દબાણ વશ થઇ અલગ એની રીતે રહેવા જણાવ્યું હતું એટલે, કાજલ એની રીતે ભાડાના મકાનમાં રહેતી હતી અને નોકરી કરી પોતાની જિંદગી ગુજારતી હતી. બે સમદુઃખીયા ભેગા થયા.

જીવનની ઘટમાળમાં કઈ કેટલીય ઘટનાઓ પૂર્વનિર્ધારિત હોય છે જે માનવીની જાણ બહાર હોય છે. આવી જ એક ઘટના અમારા જીવનમાં બની. ઓગસ્ટ મહિનો હતો કોર્ટની તારીખ હતી, વરસાદ સતત ચાલુ હતો અને અમે બંને, હું અને કાજલ કોર્ટ પરિસરમાં ઉભા હતા. એ દિવસે જજ સાહેબ રજા પર હતા એટલે તારીખ પડી ગઈ પણ સતત વરસતા વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા અને બસ સેવા બંધ થઇ ગઈ હતી ઘણી વખત રાહ જોયા પછી પણ કોઈ રીક્ષા કે કેબ ના મળી એટલે કાજલે લાચાર નજરે મારી સામે જોયું, હું સમજી ગયો. કોર્ટની મુદતના દિવસે ઓફીસમાંથી રજા લીધી હતી અને આમપણ, વરસાદી પાણી ભરાઈ જવાથી મારાથી કે એનાથી ઓફીસ જઈ શકાય એવું રહ્યું ન હતું. મારા બાઈક પર બેસાડી હું એને એના ઘરે મુકવા ગયો. રેઇનકોટ કે છત્રી હતા નહિ. વરસતા વરસાદમાં ભીંજાતા અમે ધીમે ધીમે બાઈક ચલાવતા ક્યાંક દોરતા એના ઘરે સુધી ગયા. એક સોસાયટીમાં રોડ પરના પહેલા જ મકાનમાં કાજલ ભાડે રહેતી હતી. એને ઉતારી હું નીકળવા જતો હતો પણ એણે મને અટકાવ્યો અને ઘરે ચા પી થોડા કોરા થઇ જઈ પછી જવાનું કીધું અને મેં પણ એની વાત માની લીધી, કારણ આગલી સાંજે મન વગરનું થોડું જમ્યો હતો પણ સવારે ચા કે નાસ્તો કઈ કર્યા ન હતા. હું એની પાછળ એના ઘરમાં દાખલ થયો. મારા પ્રત્યેની એની લાગણી જોઈ મારું મન અનાયાસે જ સુનયના અને કાજલ વચ્ચે સરખામણી કરવા લાગ્યું. એણે મને ટુવાલ આપ્યો જેનાથી મેં મારૂ માથું કોરું કર્યું અને કપડા લૂછ્યા અને થોડો ઘણો કોરો થયો. એ થોડી વારમાં સરસ આદુ વાળી ચા અને સાથે બે ભાખરી લઇ ને આવી અને હું એના આગ્રહની રાહ જોયા વગર ચા અને ભાખરી આરોગવા લાગ્યો આમ પણ ભૂખ લાગી હતી.

બસ વરસાદના એ દિવસે અમારી મિત્રતા પ્રેમમાં પરિણમી. એને એના પતિથી છૂટાછેડા લેવા હતા પણ એનો પતિ એને આપતો ન હતો. મારે પણ છુટાછેડા લેવા હતા પણ હું સુનયનાને એની માંગણી મુજબની રકમ આપી શકું એમ ન હતો. બંને જણા પોતાનું ગાડું ગબડાવ્યે જતા હતા. અમારા વચ્ચેના લાગણીના અંકુરોની જાણ અમારા વકીલ સાહેબને થઇ અને એમને અમને રસ્તો બતાવ્યો મૈત્રી કરાર. અમે બને થોડી ચર્ચા વિચારણા બાદ સંમત થયા અને મૈત્રી કરાર કર્યો અને મારા ઘરમાં સાથે રહેવા લાગ્યા. એક જ અઠવાડિયામાં ઉકરડા જેવું મારું ઘર મંદિર સમાન થઇ ગયું. રોજ મારા માતા-પિતાની તસવીરને અગરબત્તી થવા લાગી. કોર્ટ કેસ ચાલતા રહ્યા અને અમે બંને જણા અમારી રીતે શાંતિથી જીવતા ગયા. વર્ષો વિતતા ગયા. સાત વર્ષનો રેહાન પુરા પચ્ચીસ વર્ષનો થઇ ગયો. એની મમ્મી, નાના-નાની તરફથી મળેલ ઈયર પોઈઝન સાથે એ મોટો થયો હતો એટલે મારી કોઈ જ વાત એ સંભાળવા માંગતો ન હતો. એના મન માં એક વાત ઘર કરી ગઈ હતી કે, “મારા પપ્પા એ મારા માટે કઈ કર્યું નથી અને મારી મમ્મી ને હેરાન કરી, મારી ને ઘરેથી કાઢી મૂકી હતી.” ઘટના એના જાણ માં હતી પણ ઘટનાના મૂળ થી એ અજાણ હતો. એક પિતા તરીકે મને એના માટે લાગણી હતી અને અફસોસ પણ કે, જો સુનયના વધુ પડતી પઝેસીવ ન હોત અને આર્થિક પરિસ્થિતિ  મુજબ ચલાવી લીધું હોત તો આજે મારો પુત્ર રેહાન મારી સામે નહિ મારી સાથે હોત. પણ આ અફસોસનો કોઈ અર્થ ન હતો. હું અને કાજલ એક બીજા સાથે, એક બીજા ને સમજીને રહેતા હતા. મને એવું લાગ્યું કે, હવે કોઈ એવી ઘટના કદાચ જ બને કે જે મને વિચલિત કરી નાખે. પણ, હું ખોટો હતો. 

છવ્વીસ વર્ષની ઉમરે લગ્ન થયા હતા અને અઠયાવીશ વર્ષે પિતા બન્યો હતો, ત્રીસ વર્ષની ઉમરે કોર્ટનો પ્રથમ અનુભવ, લગભગ તેત્રીસની ઉમરે સમાધાન અને ફરી પાંત્રીસમાં વર્ષે કોર્ટનો બીજો અનુભવ. જીવનના પંચાવન વર્ષે ફરી એક આઘાત આવી ગયો. જેણે મને સ્નેહ આપ્યો, મારા સ્વર્ગે સિધાવેલ માતા-પિતાને આદર આપ્યો, મને સમજીને મને સહારો આપ્યો એ કાજલ એક રાત્રે એટલી ગાઢ ઊંઘમાં ચાલી ગઈ કે બીજા દિવસનો સૂર્ય મારા માટે ફરીથી એકલતા લઇને ઉગ્યો. ફરી હું, આ સંસારમાં મારા પેન્ડીગ કોર્ટ કેસ સાથે એકલો રહી ગયો. કાજલની પાછળ વિધિ-વિધાન પૂરા કર્યા પણ મને એ ઘરમાં હવે એકલતા કોરી ખાતી હતી. આધેડ ઉમર, એકલવાયું જીવન શું કરું એ સમજાતું ન હતું. ? બસ, એક મિત્રના મારફતે આપના આશ્રમ વિષે જાણવા મળ્યું અને હું અહિયાં આવી ગયો.”

“હમમ, હરિ ઈચ્છા..” દાસ બાપુ એ કહ્યું. ...

 .... વધુ આવતા અંકે...


આશિષ એ. મહેતા

********************************************************************************************


Creative Commons License



અલખના ઓટલે, દાસ બાપુ - ૪    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, February 5, 2022

અલખના ઓટલે દાસબાપુ – ૩

                                         દાસ બાપુ – ૩

એના ગળે ડૂમો ભરાઈ ગયો હતો. પ્રયત્નો પછી પણ શબ્દો બહાર નહતા આવી રહ્યા. દાસ બાપુ એ કોર્ડલેસ બેલની સ્વીચ દબાવી અને નજીકમાંથી એક સેવક હાજર થયો. બાપુ એ ઈશારાથી પાણી આપવા કહ્યું. માટીના ગ્લાસમાં પાણી આપવામાં આવ્યું. બાપુની સુચનાથી માટીનો એક કુંજો પણ મુકવામાં આવ્યો. જાણે કેટલાય વર્ષોની તરસ છીપાવતો હોય એમ, એક જ શ્વાસે પાણી પી ગયો અને તરત જ કુંજામાંથી ફરી પાણીનો ગ્લાસ ભર્યો અને પી ગયો.

મનના તરંગો અને હૃદયની લાગણીઓ વચ્ચે ધમાસાણ ચાલી રહ્યું હતું અને એની અભિવ્યક્તિ માટે શબ્દો સાથ નહતા આપી રહ્યા.

થોડી વાર મૌનનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું.

એ પછી એ બોલ્યો, “સંસાર બહુ જ વ્હાલો અને સુંદર લાગે છે, જયારે પરિસ્થિતિ આપણી અપેક્ષા મુજબની હોય છે પણ આજ સંસાર નર્ક કરતા પણ બદ્તર લાગે છે જયારે પરિસ્થિતિ અપેક્ષાથી વિપરીત અણધાર્યો વળાંક લે છે. સુનયના એના પિતાના ઘરે હતી. રેહાન એની જોડે હતો. મારી મમ્મી મને અને મારા પિતાને આ સંસારમાં મૂકીને અનંતની વાટે ચાલી ગઈ હતી. સ્ત્રી એ ઘરની મુખ્ય ધરી છે. અમારું ઘર ધરી વગરનું થઇ ગયું. ધીમે ધીમે કુટુંબ પરિવારના સભ્યોએ પણ એક અંતર બનાવી લીધું. પુરા ત્રણ વર્ષ કોર્ટ કેસ ચાલ્યો. ઘરમાં હું અને મારા પપ્પા જરૂર જેટલી જ વાત કરતા ક્યારેક તો અઠવાડિયાનો સમય નીકળી ગયો હોય અને અમે એક બીજા જોડે વાત ના થઇ હોય. કોર્ટ કેસમાં નવો વળાંક આવ્યો, જજ સાહેબ નવા આવ્યા અને એમને સમાધાનની વાત કરી. મારા પિતા એ પણ મને કહ્યું, બેટા સમાધાન કરી લે. તારી મા જતી રહી અને હવે હું કેટલું જીવવાનો. રેહાન માટે વિચાર એને મા અને બાપ બંનેની જરૂર છે.” સમાધાન થયું અને અઢી વર્ષના રેહાનને લઇ ને ગયેલ સુનયના, રેહાન પુરા સાડા પાંચ વર્ષનો થયો ત્યારે આવી. એ સમયે મને એવું લાગ્યું કે, કસોટીનો કાળ પૂરો થયો. થોડો સમય બધું બરાબર ચાલ્યું. પણ, મન- મોતી અને કાચ એક વાર તૂટ્યા પછી ફરી જોડતા નથી. બસ એ જ રીતે, સમાધાનના લગભગ છ મહિના પછી ઘરમાં ફરીથી કચકચ ચાલુ થઇ ગઈ. હું નોકરી પર હોઉં એ સમય દરમ્યાન સુનયના મારા પિતાનું અપમાન કરે, એમને હડધૂત કરે. શરૂ શરૂમાં આ વાતની મને ખબર ના પડી પણ એક દિવસ હું નોકરી જવા નીકળ્યો અને રસ્તામાં મને મારા બોસ નો ફોન આવ્યો કે કંપનીના કામે તાત્કાલીક ટુર ઉપર જવાનું છે તો ચાર-પાંચ દિવસનું પ્લાનીંગ કરીને નીકળવાનું છે. હું અડધે રસ્તેથી પાછો ફર્યો અને ઘરે આવીને જોયું કે મુખ્ય દરવાજો સહેજ ખુલ્લો હતો અંદરથી સુનયનાનો અવાજ આવી રહ્યો હતો, “મારા માથે પડ્યા છો, એક કામ સરખું થતું નથી અને બે ટાઇમ થાળી ભરીને ખાવા જોઈએ છે, મરતા પણ નથી અને જીવવા પણ નથી દેતા શાંતિથી.” દરવાજો ખોલીને હું ઘરમાં દાખલ થયો જે દ્રશ્ય જોયું એ મારા માટે અસહ્ય અને અકલ્પ્ય હતું. સુનયના સોફા પર બેઠી હતી અને મારા પિતા ઘરમાં પોતુ મારી રહ્યા હતા. મને બારણામાં ઉભેલો જોઈ એમની સહનશીલતાની પાળ પણ તૂટી ગઇ અને એ રડી પડ્યા.

જેની મહેનતનો પરસેવો મારા શરીરમાં લોહી બનીને વહેતો હોય એનું અપમાન કેવી રીતે સહિ શકું. એ દિવસે મારા અને સુનયના વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલી થઇ અને મેં ફરી સુનયના પર હાથ ઉપાડ્યો. ફરી એ જ ઘટનાનું પુનરાવર્તન, સુનયના રેહાનને લઇ એના પિયર ચાલી ગઈ, રેહાન ત્યારે આશરે સાત વર્ષનો હતો. કંપનીના કામે ટુર પર જવાની વાત બાજુમાં રહી અને કંપનીનું કામ ન કરવા બદલ મને છૂટો કરવામાં આવ્યો. નોકરી છૂટી જવાનો કોઈ અફસોસ ના હતો. એ દિવસે જાણ્યું કે, મારું અને સુનયનાનું લગ્ન જીવન ટકી રહે એ માટે મારા પિતા એ કેટલું અપમાન સહન કર્યું.

ફરીથી કોર્ટ કેસ અને પોલીસ કેસ થયા પણ મને આ વખતે કોઈ રંજ ન હતો. કોર્ટમાં પણ સાવ બેશરમ થઇને ઉભો રહી જતો. લગભગ બે મહિના પછી મારા પિતા પણ મને આ સંસારમાં એકલો મૂકીને મારા મમ્મીનો સાથ આપવા ચાલી નીકળ્યા. પાછળ રહી ગયો હું એકલો. મારા માતા-પિતાની યાદોના સહારે એમના જ બનાવેલા આશિયાના એવા નાના એવા ઘરમાં.

સ્વામીજી, કોઈ સ્ત્રી જો એકલી રહેતી હોય ને તો સોસાયટીના, આજુ બાજુ ના લોકો એની તરફ ખરાબ નજરે જોતા હોય એવું બને પણ સાથે સાથે એના પ્રત્યે સહાનુભુતિ ધરાવતા હોય એવું પણ બને. પણ એક પુરુષ એકલો રહેતો હોય તો એના પ્રત્યે ના કોઈ સહાનુભુતિ હોય ના કોઈ સંવેદના, હોય તો માત્ર શંકા ભરી નજરો અને જાત જાતની વાતો. મારી સાથે પણ એવું જ થયું. કુટુંબ પરિવાર તો અલગ થઇ જ ગયા હતા, એકલો રહેતો હોવાથી આડોશ-પડોશના લોકો પણ ધીમે ધીમે દૂરી બનાવવા લાગ્યા. ઉમર થઇ ગઈ હતી એટલે સારી નોકરી તો મળે એવી કોઈ શક્યતા રહી નતી. ધંધો કરવા મૂડી જોઈએ જે તો હતી નહિ. બસ જ્યાં જે નોકરી મળી એ કરતો ગયો, કોર્ટના ધક્કા ખાતો રહ્યો, વકીલ ફી, સુનયનાની અને રેહાનની ખાધા-ખોરાકી ભરતો રહ્યો અને મારી એકલતાને સિગારેટના ધુમાડાથી દૂર કરતો ગયો.  

.... વધુ આવતા અંકે...


આશિષ એ. મહેતા

********************************************************************************************


Creative Commons License



અલખના ઓટલે, દાસ બાપુ - ૩    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/