Saturday, October 31, 2020

પ્રેમ અને લાગણી એક તરફ અને ધંધો બીજી તરફ રાખવો એમાં જ સમજદારી છે

"હું તો તને પહેલેથી જ ના પડતો હતો કે આ રસ્તે આગળ ના વધ, પણ તું માન્યો જ નહિ. આશુ, મેં તને કેટલી વખત સમજાવ્યો કે તારો લાગણીશીલ સ્વભાવ જ તને નડશે."

અમદાવાદ શહેરના પ્રખ્યાત એસ.જી. હાઇવે પર થલતેજ પાસે આવેલ એક પ્રખ્યાત ચાની કીટલી પાસે મિટિંગ જામી હતી. રાતના આશરે 10.00 વાગ્યાનો સમય હશે. દિવસભર ચિક્કાર રહેતો એસ.જી. હાઇવે પરનો ટ્રાફિક ધીમો પડી ગયો હતો. એવા સમયે હાઇવેને અડીને આવેલ એક પ્રખ્યાત ચાની કીટલીની બાજુમાં ઢાળેલા ખાટલા પર સામસામે બે મિત્રો બેઠા હતા. એક જે સહેજ લાગણીભીના ગુસ્સાથી બીજાને કહી રહેલ તે સુજય પટેલ, અને સુજયની વાત સાંભળનાર હતો આશુ એટલે કે આશુતોષ વૈષ્ણવ. ચાની કીટલીવાળાને પણ જાણે આજે આ બે મિત્રોની વાતોમાં રસ પડયો હોય એમ ઘરે જવાની કોઈ ઉતાવળ ન હતી, ઉલ્ટાનું એ આ બંને મિત્રોની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો અને એને જે સમજ પડી હતી એ મુજબ આ બંને મિત્રોની વાતના મૂળ આજથી લગભગ ત્રીશ-પાંત્રીશ વર્ષ પહેલાં રોપાયા હતા.

હા, એનું અનુમાન સાચું જ હતું. પચાસ વટાવી ચૂકેલ આ બંને મિત્રો ત્યારે કદાચ પંદર-સોળ વર્ષના તરૂણો હશે. હશે નહિ હતા જ. 1980 નો દાયકો હતો અને ત્યારે તો ગોતા વિસ્તાર અમદાવાદનું પરૂં ગણાતો અને હજુ સ્ટ્રીટ લાઈટ વગરના ધૂળિયા રસ્તાવાળું ગામ હતું. એ ગામમાં જ, ગામની શેરી અને માટીમાં જોડે જ રમીને બાળપણ પસાર કરેલ એ બે મિત્રો એટલે સુજય પટેલ, ગામના મુખીનો દિકરો, અને બીજો આશુતોષ વૈષ્ણવ. બંને ગાઢ મિત્રો. રમવાનું પણ જોડે અને ભણવાનું પણ જોડે. દશમા ધોરણ સુધીનો અભ્યાસ ગામની શાળામાં પૂરો કરી બંનેએ ઘાટલોડિયા ગામની શાળામાં અગિયારમા ધોરણમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાંથી જ આજની આ ચર્ચાના બીજ રોપાયા હતા.

કુદરત પણ ક્યારેક અજીબ પરિસ્થિતિનું નિર્માણ કરતી હોય છે. સુજય અને આશુતોષની સાથે એ જ શાળામાં એક અન્ય વ્યક્તિએ પણ પ્રવેશ લીધો હતો, કવિતા ગોસ્વામી, ગોતા ગામના રામજી મંદિરના મહંતની દીકરીની દીકરી. કવિતાનું મોસાળ ગોતા ગામ હોઈ એ લગભગ દર વેકેશનમાં ગામમાં આવતી અને એટલે સુજય, આશુતોષ અને કવિતા એકબીજાને ઓળખતા હતા.

બે વર્ષ જોડે અભ્યાસ કર્યો એમાં આશુતોષ અને કવિતા એકબીજાની વધુ નજીક આવ્યા અને એમની મિત્રતા પ્રેમમાં પરિણામી. એ સમય આજના જેવો એડવાન્સ નહીં, એટલે એ બંનેએ એકબીજાની સામે પોતપોતાની લાગણીઓનો એકરાર કર્યો નહોતો. શાળાનો અભ્યાસ પૂરો થયો અને આશુતોષ અને સુજય આગળ અભ્યાસમાં લાગ્યા અને આશુતોષે વિચારી રાખેલું કે કોલેજ પૂરી થાય અને સારી જોબ મળી જાય એટલે પોતાના ઘરમાં પોતાના અને કવિતાના સંબંધની વાત કરવી. પણ, કોલેજનું પહેલું વર્ષ પૂરું પણ નહોતું થયું અને કવિતાના લગ્ન થઇ ગયા. કોલેજ પૂરી થયા પછી સુજય એના પિતાના જમીન અને પાર્ટી પ્લોટના ધંધામાં લાગી ગયો અને આશુતોષ સી.એ. બન્યો અને થોડો સમય નોકરી કર્યા પછી પોતાની સ્વતંત્ર ઓફિસ કરી અને પછી આશુતોષ જિંદગીની દોડધામમાં લાગી ગયો અને ઘર અને પરિવારના તમામ સભ્યોને ગોઠવવામાં લાગી ગયો, પણ આશુતોષે લગ્ન ના કર્યા. આશુતોષના આ નિર્ણયની પાછળનું કારણ કોઈ જાણતું હોય તો એ હતો એના બાળપણનો મિત્ર સુજય. આશુતોષ અને કવિતાનો સમાજ તો એક જ હતો, પણ સમાજનો એક નિયમ હતો કે એક જ ગામના સમાજના છોકરા-છોકરીઓ ભાઈ-બહેન ગણવા. એક તો આ નિયમ અને બીજું આશુતોષ પોતાના ઘરમાં કવિતા વિષે વાત કરે તે પહેલા તો કવિતાના લગ્ન થઇ ગયા અને આશુતોષે આખી જિંદગી એકલા રહેવાનો નિર્ણય કર્યો.

એકાદ વર્ષ પહેલાં સમાજના કોઈ એક પ્રસંગમાં આશુતોષ અને કવિતા ભેગા થઇ ગયા. કવિતા એની એકની એક દીકરી તન્વી સાથે આવી હતી, જે હાલમાં સી.એ.ના ફાઇનલ યરમાં હતી. આશુતોષે એને પોતાની ઓફિસમાં ટ્રેઈની તરીકે સારા સ્ટાઈપેન્ડથી રાખી લીધી અને એ સાંજે જ સુજયે આશુતોષને ચેતવણી આપી હતી કે, "આશુ, તેં આ નિર્ણય લાગણીમાં કર્યો છે, ધ્યાન રાખજે."

અને આજે આશુતોષને સુજયની વાત સાચી લાગી રહી હતી. આશુતોષે તન્વીને પોતાની ઓફિસમાં રાખી, ધંધો શીખવાડ્યો અને પોતાના ધંધાની લગભગ તમામ આંટીઘૂંટી શીખવાડી અને એને માત્ર 3 વર્ષમાં જ એક હોંશિયાર સી.એ. બનાવી દીધી. આશુતોષે લાગણીમાં આવી જઈને તન્વી ઉપર જરૂર કરતા વધારે વિશ્વાસ રાખ્યો અને પોતાની ઓફિસમાં પોતાના પછીનું સ્થાન તન્વીને આપ્યું. આશુતોષ માટે તન્વીએ પોતાની જ દીકરી હતી અને તન્વી પણ આશુતોષે સોંપેલા કામ પૂરતું ધ્યાન દઈને કરતી અને કેટલાક નાના નાના કામ આશુતોષ તન્વીને બારોબાર જ સોંપી દેતો હતો.

બધું જ બરાબર ચાલી રહ્યું હતું પણ આશુતોષે પારિવારિક કારણોસર વીસ દિવસ બહારગામ જવાનું થયું અને તમે રૂટિન ધંધાકીય કામકાજ સરળતાથી ચાલી રહે તે હેતુથી તન્વીને કેટલાક કોરા પેપરો પર પોતાની સહીઓ કરી આપી. બસ, અહીં જ આશુતોષની ભૂલ થઇ ગઈ અને તન્વીની પણ. તન્વી આશુતોષની સહી વાળા કોરા પેપર પોતાના ઘરે લઇ ગઈ અને એણે એના પતિ અંકિતને આ પેપર બતાવ્યા અને અંકિતે એ પેપરમાંથી એક પેપર લઇ આશુતોષની પાવર ઓફ એટર્ની પોતાના નામે બનાવી દીધી અને એ બનાવટી પાવર ઓફ એટર્ની દ્વારા આશુતોષની ઓફિસ એના પોતાના નામે કરી લીધી. આશુતોષના સદ્દનસીબે અંકિત કાયદાની પ્રક્રિયાથી પૂરેપૂરો માહિતગાર ના હોવાથી તે પોતાના બદઇરાદામાં પૂરેપૂરી રીતે સફળ ના થઇ શક્યો અને આશુતોષને તેના અંગત સૂત્રો દ્વારા આખી ઘટનાની તુરંત જ ખબર પડી ગઈ અને એણે તરત જ સુજયને જાણ કરી અને સુજયે પોલીસખાતાના કોન્ટેક્ટથી અંકિતને તરત જ પોલીસ કસ્ટડીમાં મુકાવી દીધો. આશુતોષ બનતી ત્વરાએ પરત આવી ગયો.

પરંતુ, તન્વીએ આશુતોષને કોઈ આજીજી કરી ના હોવા છતાં આશુતોષે પોતે જ અંકિતના જામીન કરાવી દીધા. એટલું જ નહીં, તન્વીને પણ બીજા દિવસથી ઓફિસ આવવાનું કહ્યું. સુજયને આ ના ગમ્યું અને દુન્યવી દ્રષ્ટિએ પણ આશુતોષનું આ પગલું વ્યવહારિક હતું જ નહીં.

એ રાત્રે જ સુજયે આશુતોષને ચાની કીટલીએ બોલાવ્યો અને આશુતોષને દુનિયાદારી સમજાવવાનો એક નિષ્ફ્ળ પ્રયાસ કર્યો. હકીકતે, સુજય પણ જાણતો જ હતો કે આશુતોષ તન્વીને પોતાની સગી દીકરી જ ગણતો હતો અને એટલે જ પેલી કહેવતની જેમ, "છોરૂં કછોરૂં થાય, પણ માવતર કમાવતર ના થાય." એ મુજબ આશુતોષ તન્વી પ્રત્યેની પોતાની લાગણીને કોઈ પણ સંજોગોમાં અટકાવી શકવાનો નથી.

પણ, સુજયની એક વાત બહુ જ સાચી હતી. હવેનો જમાનો મતલબી લોકોથી ભરેલો છે, લાગણીશીલ લોકોથી નહિ. પ્રેમ અને લાગણી એક તરફ અને ધંધો બીજી તરફ રાખવો એમાં જ સમજદારી છે.


આશિષ એ. મહેતા


Creative Commons License



પ્રેમ અને લાગણી એક તરફ અને ધંધો બીજી તરફ રાખવો એમાં જ સમજદારી છે by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, October 24, 2020

કારગિલ યુદ્ધની એક યાદ

અંધારી રાત પૃથ્વી પર એનો અંધકાર પાથરતી જતી હતી. ગામના ચોકિયાતો અને શેરીના કુતરાઓ પણ પરાણે જાગી રહ્યાં હતા. એવા ટાણે જોરાવરસિંહ બાપુની આંખોમાંથી ઊંઘ વેરાન થઇ ગઈ હતી, જાણે કે રણમાંથી નદી ગાયબ થઇ ગઈ હોય. જોરાવરસિંહ બાપુ એમની ડેલીમાં, બંને હાથ પાછળની તરફ એકબીજામાં ભેરવીને આમથી તેમ આંટા મારી રહ્યા હતાં. એમના પ્રભાવશાળી ચહેરા પર આજે એમના દિલમાં રહેલી ચિંતા ચાડી ખાઈ રહી હતી. રાત્રિનો બીજો પહેર પૂરો થવાની અણી પર હતો અને પસાર થતા સમયની સાથે જોરાવરસિંહ બાપુની ચિંતા પણ વધતી જતી હતી.

આજનું ભાવનગર જે પહેલાં ગોહિલવાડ તરીકે ઓળખાતું હતું. તેનું એક નાનું પણ રળિયામણું ગામ વરતેજ. વરતેજ ગામના વર્તમાન સમયના સૌથી પ્રતિષ્ઠિત અને પ્રભાવી વ્યક્તિ એટલે જોરાવરસિંહ ગોહિલ બાપુ. ગોહિલ વંશનો પ્રભાવ વ્યક્ત કરતો પ્રભાવશાળી ચહેરો, પૂરૂં છ ફૂટનું કદ, ઉભું ઓળેલું માથું, પહોળી છાતી, મજબૂત બાંધો, સહેજ ચપટું નાક, પ્રમાણસરની વળ ચઢાવેલી મૂછો અને સામેવાળાને એક પળમાં માપી લેતી પાણીદાર આંખોના સ્વામી એટલે જોરાવરસિંહ ગોહિલ બાપુ. પોતે રાજ્યના પોલીસ ખાતામાંથી એસ.પી. તરીકે નિવૃત્ત થયા હતા અને ખેતીવાડી પણ સારી એટલે પૈસાની કોઈ ચિંતા નહીં. કહેવાય છે કે "રાજપૂતનો જન્મ દેશની રક્ષા કાજે મરવા માટે જ થાય છે." આ ઉક્તિને સાચો પાડતો પરિવાર એટલે જોરાવરસિંહ ગોહિલ બાપુનો પરિવાર. બાપુ પોતે રાજ્યના એસ.પી. તરીકે નિવૃત્ત થયા હતા અને એમના બંને પુત્રો રાજવીરસિંહ ગોહિલ અને જયવીરસિંહ ગોહિલ ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવામાં હતા. મોટા પુત્ર રાજવીરસિંહ ગોહિલ મેજર હતા અને નાના પુત્ર જયવીરસિંહ કેપ્ટન તરીકે સેવા આપતા હતા. જોરાવરસિંહ ગોહિલ બાપુનો નિવૃત્તિનો સમય સામાન્ય રીતે તો ખેતીવાડીમાં, ગામના વિકાસની કામગીરીમાં અને પોતાના બંને પુત્રોના પુત્રો એટલે કે મૂડીના વ્યાજ રાજેન્દ્રસિંહ અને કૃણાલસિંહને રમાડવામાં પસાર થઇ જતો હતો.

1999 નું વર્ષ હતું. મે મહિનામાં ભારતીય સેનાના ધ્યાનમાં આવ્યું કે કારગિલ સીમા પર નાપાક ઈરાદો ધરાવતા પાકિસ્તાની સૈનિકો દ્વારા ઘૂસણખોરી થઇ છે. ભારતીય સેનાને કારગિલ સેક્ટરમાં મૂવ કરવામાં આવી. હવાઈ સેનાએ અને થલ સેનાની અલગ અલગ રેજિમેન્ટ કારગિલ સેક્ટર તરફ આગળ વધતી હતી. આયોજનબદ્ધ હવાઈ હુમલા પછી થલ સેના માથે સેનાની ચોકી કબજે કરવાની જવાબદારી હતી. તત્કાલીન પ્રાધાનમંત્રી શ્રીએ યુદ્ધ જેવી પરિસ્થિતિની ઘોષણા કરી હતી અને ભારતીય સેનાએ એને "ઓપરેશન વિજય" એવું નામ આપ્યું હતું. 

રોજે રોજ સમાચાર આવતા હતા, ભારતીય સેનાએ એક પછી એક પોતાની ચોકીઓ પરનો કબજો પરત મેળવવાની શરૂઆત કરી અને એ ચોકી પરત મેળવવા માટે પોતાના જાંબાઝ સૈનિકો, અફસરોની કુરબાની પણ આપી. દેશ માટે ક્યારેક બંગાળનો ટાઇગર, ક્યારેક પંજાબનો શેર, ક્યારેક રાજસ્થાનનો રણબંકો, ગરમ ખૂનનો ગુરખો, શિવાજીનો ભક્ત મરાઠા તો ક્યારેક દક્ષિણ ભારતનો તેજતરાર યુવાન શહિદ થયાના સમાચાર આવતા રહેતા હતા. જોરાવરસિંહ ગોહિલ બાપુના બંને પુત્રો જે રેજિમેન્ટમાં હતા એ રેજિમેન્ટને ભારતીય સેના માટે મહત્વની કહી શકાય એવી ટાઇગર હિલ ચોકી કબજે કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. દુશ્મન ભૌગોલિક પરિસ્થિતિનો ફાયદો લઇ લડી રહ્યા હતા અને આપણા સૈનિકો વિપરીત અને વિષમ પરિસ્થિતિમાં  પણ દુશ્મનોને હંફાવી રહ્યા હતા.

જૂન મહિનાનો છેલ્લો દિવસ હતો. ટાઇગર હિલ ચોકી કેપ્ચર કરવાનો પ્રયાસ જારી હતો. દિવસના ઉજાસમાં આગળ વધવું એ આત્મહત્યા સમાન હતું. ભારતીય નરબંકાઓ રાતના અંધારાનો લાભ લઈને આગળ વધી રહ્યા હતા. અલગ અલગ ટીમ અલગ અલગ રસ્તે આગળ વધતી હતી. એક ટીમની કમાન મેજર રાજવીરસિંહ ગોહિલના હાથમાં હતી, તો બીજી ટીમની કમાન કેપ્ટ્ન જયવીરસિંહ ગોહિલના હાથમાં હતી. 02-07-1999 રાત્રીના 11.00 વાગ્યા હશે. અંધારાનો લાભ લઈને ભારતીય સેનાની ટુકડીઓ ધીમે-ધીમે આગળ વધી રહી હતી. ઉપર ટોચ પર બેઠેલ પાકિસ્તાનીઓએ લાઈટ ફાયર કર્યું. થોડાક સમય માટે કૃત્રિમ અજવાળું પથરાઈ ગયું. ભારતીય સૈનિકોની પોઝિશનનો અંદાજ આવી ગયો. સામસામે ધાણીફૂટ ફાયરિંગ શરૂ થયું. મોર્ટર શેલ ફાયર થયા. દુશ્મનોને જડબાતોડ જવાબ અપાઈ રહ્યો હતો. એવા સમયે કેપ્ટ્ન જયવીરસિંહે દુશ્મન ચોકીનું લોકેશન ભારતીય આર્ટિલરી ટીમને સ્પોટ કર્યું. આર્ટિલરી ટીમે એ સ્પોટ પર નિશાન સાધીને હુમલો કર્યો અને દુશ્મન ચોકી ધ્વસ્ત થઇ. બીજી બાજુ મેજર રાજવીરસિંહે બીજી ચોકી પર ગ્રેનેડથી હુમલો કર્યો અને એ ચોકી પણ ધ્વસ્ત. બંને નરસિંહો એમની ટીમ સાથે એમને સોંપેલ લક્ષ સિદ્ધ કરવામાં સફળ થયા. બીજા દિવસે પથ્થરોની આડશમાં જે જ્યાં હતા ત્યાં જ સંતાઈ રહ્યા. ફરી રાત્રીના અંધકારે પોતાની કાળાશ પથારી અને ફરીથી ફાયરિંગ શરૂ થયું. પાકિસ્તાની સૈનિકો એક પછી એક પાકા ફળની જેમ ખરી રહ્યા હતા. પણ આજે મૃત્યુ દુલ્હન બનીને આવ્યું હતું કોઈ ખાસ માટે.. ટાઇગર હિલ ચોકી ભારતીય સેનાએ કબજે કરી લીધી.

મોડી રાત્રે જોરાવરસિંહને ફોન દ્વારા સમાચાર મળી ગયા અને ધીમે ધીમે આખા વરતેજ પંથકમાં ફેલાઈ ગયા. જોરાવરસિંહ બાપુ સિવાય ઘરમાં કોઈને અણસાર ન હતો. વહેલી સવારથી જ વરતેજ ગામના લોકો જોરાવરસિંહ બાપુની ડહેલીએ ભેગા થવા લાગ્યા. બાપુને પ્રણામ કરી સૌ આઘાપાછા ક્યાંક ઉભા રહી ગયા. ફળિયાની પરિસ્થિતિ જોઈને જોરાવરસિંહ બાપુના ધર્મપત્ની રાજલબાને તથા બંને પુત્રવધૂઓને કંઈક અમંગળના અણસાર આવી ગયા. બી.એસ.એફ.ની ટ્રક ગામમાં આવી અને બાપુની ડહેલી પાસે ઉભી રહી. અંદરથી વર્દીમાં સજ્જ જવાન બહાર આવ્યા અને એક પછી એક એમ બે તિરંગામાં લપેટાયેલા કોફીન ખભે કરી પુરી અદબથી ડહેલીમાં લાવ્યા. બંને કોફીન ડહેલીમાં મૂકી બધા જ જવાનોએ જોરાવરસિંહ બાપુ અને ઘરના સર્વેને સેલ્યુટ કરી. દુશ્મનો માટે મોત બનીને ત્રાટકેલા મેજર રાજવીરસિંહ ગોહિલ અને કેપ્ટ્ન જયવીરસિંહ ગોહિલ મૃત્યૃ દેવીને પસંદ પડી ગયા હતા. ત્રીજી જુલાઈ, 1999 ની રાત્રે દુશ્મનોએ મોર્ટર ફાયર કર્યો જે બંને ટીમની ખુબ જ નજીક પડ્યો, પણ ફૂટ્યો નહિ. મેજર રાજવીરસિંહે બંને ટીમને પાછળ ખસવા સૂચન કર્યું અને પોતે મોર્ટર શેલને ઉઠાવી દૂર ફેંકવા આગળ વધ્યા. એ જ સમયે દુશ્મનોએ ગોળી ચલાવી અને સીધી જ મેજર રાજવીરસિંહની છાતી વીંધાઈ ગઈ. મોટા ભાઈનું બાકીનું કામ નાના ભાઈ કેપ્ટ્ન જયવીરસિંહે પૂરું કર્યું. મોર્ટર શેલ ઉઠાવીને પાછો દુશ્મન ચોકી તરફ ફેંક્યો. પણ એ પણ દુશ્મનની ગોળીથી વીંધાઈ ગયા અને ટીમના બાકીના સાથીઓને બચાવવા જતાં બંને ભાઈઓ વીરગતિને પ્રાપ્ત થયા. વરતેજ ગામમાં શોકનો માહોલ ફેલાઈ ગયો. બધાની આંખો ભીની હતી સિવાય જોરાવરસિંહ બાપુની. રાજલબા ભીની આંખે પણ સ્વસ્થતા પૂર્વક બહાર આવ્યા અને પોતાના બંને પુત્રોના માથે હાથ ફેરવ્યો. બંને શહીદવીરની પત્નીઓ આક્રંદ કરી રહી હતી. નાના રાજેન્દ્રસિંહ અને કૃણાલસિંહ એક ખૂણામાં ઉભા હતા.

કંઈક વિચારીને જોરાવરસિંહ રાજલબા પાસે આવ્યા અને આજે પહેલી વખત એમણે રાજલબાનો હાથ જાહેરમાં પકડ્યો. એ સમયે રાજલબાએ કહ્યું, "બાપુ, માતાજીએ મને હજુ એક પુત્ર આપ્યો હોત તો આજે એને પણ દેશની સેવામાં હું મૂકી શકી હોત." એક રાજપૂતાણીને છાજે એવું વેણ સાંભળીને બંને પુત્રવધૂઓનું આક્રંદ ડૂસકામાં બદલાઈ ગયું અને પાછલી આખી રાતથી ચિંતામાં રહેલ જોરાવરસિંહ ગોહિલ બાપુના મુખ પર શહિદવીરોનાં પિતા તરીકેની ચમક પથરાઈ ગઈ.

વાચક મિત્રો વાર્તા મારી કાલ્પનિક છે. આપ આપનો અભિપ્રાય જણાવશો.


આશિષ એ. મહેતા


Creative Commons License



કારગિલ યુદ્ધની એક યાદ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, October 17, 2020

મારી કેસ ડાયરી : અભિજાત

પ્રિય વાંચકમિત્રો,



સાંજના ૬.૪૫ નો સમય થવા આવ્યો હતો અને ચિંતને એડવોકેટ અજય પટેલની ઓફિસમાં પ્રવેશ કર્યો અને પંક્તિને સસ્મિત “હાય” કર્યું. પંકિત એક ફોન પર વ્યસ્ત હોવાથી સ્માઈલ આપી ચિંતનને બેસવાનો ઈશારો કર્યો અને ચિંતને ઓફીસના વેઈટીંગ એરિયામાં બેઠક લીધી. ફોન પૂરો કરીને પંક્તિએ ઇન્ટરકોમ પર એડવોકેટ અજય પટેલને ચિંતનના આગમનની જાણ કરી અને "ઓકે સર" કહી ઇશારાથી ચિંતનને અંદર જવા જણાવ્યું.

ફૂલ સાઇઝનો ગ્લાસ ડોર ખોલી ચિંતન એડવોકેટ અજય પટેલની ચેમ્બરમાં દાખલ થયો. આજે ચેમ્બરમાં અભિજાત શુક્લાની ગેરહાજરી પહેલી વખત એણે જોઈ. ઇશારાથી સામે બેસવા ચિંતનને જણાવી અજય પટેલે એમના લેપટોપમાં એમનું કામ ચાલુ રાખ્યું. પાંચેક મિનીટ પછી લેપટોપ શટડાઉન કર્યું અને ઇન્ટરકોમ પર બે કોફી મોકલાવવા કહ્યું અને પંક્તિને કોઈ કામ ના હોય તો નીકળવાની સુચના આપી. થોડી વારમાં ઓફીસબોય રામજી બે કોફી મૂકી ગયો.

“સાહેબ, એક સવાલ પૂછું?” ચિંતને પૂછ્યું.
“બોલ” ટૂંકો જવાબ આપી અજયભાઈએ કોફીનો એક સીપ લીધો.
“આજે પહેલી વખત તમને ચેમ્બરમાં એકલા જોયા. અભિજાતસર બહારગામ છે કે કોઈ સાજુ-માંદુ છે?”
“લે, આજે તેં અજાણતાં જ વાર્તાનો એક મુદ્દો આપી દીધો. આજે તને અભિજાતની જ વાત કહું.”

“હું અને અભિજાત સ્કુલ સમયના મિત્રો. આમ તો અભિજાતના પિતાના હાથ નીચે હું ભણતો અને એ રીતે અમે બારમા ધોરણમાં ભણતા હતા ત્યારથી એક બીજાના પરિચયમાં. બંનેનું એડમીશન એક જ કોલેજમાં થયું. ત્યારે ખબર ન હતી કે અમે એક જ કોલેજમાં છીએ. આ તો જયારે કોલેજ ચાલુ થઇ અને એક જ ક્લાસમાં નંબર આવ્યો ત્યારે ખબર પડી. પછી તો રોજ જોડે જ બેસવાનું. કોલેજથી પાછા જોડે જ આવીએ. કોલેજના ત્રીજા વર્ષમાં તો અભિજાતે ટ્યુશન કરાવવાના શરૂ કરી દીધા અને કોલેજ પત્યા બાદ અમે અલગ થઇ ગયા. મેં લૉ કોલેજ જોઈન કરી અને અભિજાતે એમ.કોમ.માં એડમીશન લીધું. સાઈડમાં ટ્યુશન ક્લાસ ચાલુ. એનો ધ્યેય એના પપ્પાની જેમ શિક્ષક બનવાનો હતો. એમ.કોમ. પૂરું થયા પછી એને બી.એડ.માં ફ્રી સીટ પર એડમિશન ના મળ્યું. એણે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા અને એ સમયે મેં જુનિયરશીપ ચાલુ કરેલ. અમારૂં મળવાનું નિયમિત રહેતું. એ સમયે અભિજાતની આવક ઘણી જ સારી. અમે મિત્રો ભેગા થઈએ ત્યારે ચા-પાણીના ખર્ચા અભિજાત કરે. અભિજાત મજાની લાઈફ જીવતો.

એ સમયે, એની સાથે જ એક વ્યક્તિ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ કરે. નામ સમીર શાહ, એ ગણિત અને વિજ્ઞાન ભણાવે. એક વખત એ ટ્યુશન જવા ઘરેથી નીકળ્યો અને એક સાધન-સંપન્ન પરિવારના નબીરાની ગાડી સાથે સમીર શાહનો અકસ્માત થયો. એ બિચારાના બંને પગ તૂટી ગયા. પુરા બે વર્ષ પથારીમાં નીકળી ગયા. ટ્યુશન ક્લાસ છૂટી ગયા અને બચત પૂરી થઇને એના માથે મોટું દેવું થઇ ગયું. બસ, આ ઘટનાએ અભિજાતને નવેસરથી વિચારવા મજબૂર કરી દીધો. એ વિચારવા લાગ્યો, “એવી કઈ લાઈન છે જેમાં જો આપડે કોઈ સંજોગોમાં પથારી પકડી લઈએ તો પણ કમાઈ શકાય. એણે મારી સાથે આ અંગે ચર્ચા કરી અને મેં એને લૉ કોલેજમાં એડમીશન લઇ લેવા જણાવ્યું. એણે મારી સલાહ માની અને કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને મારી સાથે પ્રેક્ટીસમાં જોડાઈ ગયો. તને ખબર જ હશે કે વકીલાતના વ્યવસાયમાં શરૂઆતના પાંચેક વર્ષ તો ઘરના રોટલા ખાવા પડે અને અભિજાતની માનસિક પરિસ્થિતિ એ સમયે બહુ જ ખરાબ થઇ ગઈ હતી, કારણ કે ટ્યુશનની લાઈનમાં એની આવક ખુબ જ સારી હતી અને એમાંથી વકીલાતમાં આવ્યો એટલે ફરીથી શૂન્ય પર. એકડ એકથી નવી શરૂઆત કરવી પડી. ખર્ચા તો ઘટે નહિ, હાથ તંગ રહે, વળી એને તો એક દીકરી પણ ખરી. જ્યાં ત્યાં શરૂના વર્ષો કાઢ્યા અને એનું સર્કલ સારું એટલે ધીમે ધીમે કામ મળવા લાગ્યું અને વધવા પણ લાગ્યું. આજે ભગવાનની કૃપા છે. અભિજાત સામાજિક થોડો વધુ એક્ટીવ છે એટલે એને ઘણા બધા કામ હોય અને સામેથી કારણ વગરની જવાબદારી લેવાનો એનો સ્વભાવ થઇ ગયો છે. હું પણ એને કાંઈ કહેતો નથી. એ પણ આ લાઈનથી ખુશ છે. હા, ક્યારેક વાત કરે કે જો સમીર શાહનો અકસ્માત ના થયો હોત અને એ સમયે એને લાઈન બદલવાનો વિચાર ના આવ્યો હોત તો?

પણ પછી એ જાતે જ કહે, “માણસને એનો રોટલો અને ઓટલો સમય થાય એટલે બોલાવી જ લે.”

લે ચાલ, આજે બહુ મોડું થઇ ગયું. હવે નીકળીએ ઘરે જવા.”

“ચાલો સાહેબ, મળીએ પછી.” ચિંતને પ્રત્યુત્તર આપ્યો.

“રામજી, ઓફીસ વસ્તી કરી ચાવી મને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આપી જાવ. હું પાર્કિંગમાંથી કાર લઈને આવું છું.” અજયભાઈએ ઉભા થતા રામજીને સુચના આપી અને એ અને ચિંતન લીફ્ટમાં ગોઠવાઈ ગયા.


આશિષ એ. મહેતા


********************************************************************************************
********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : અભિજાત by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, October 10, 2020

दिन और रात एसे ही गुजरते है

दिन और रात एसे ही गुजरते है,
हम आप के दिदार को तरसते है;
छुप के अक्सर आप को देखते है,
बस आप से बात करने से कतराते है।

दिल में इल्तज़ा बस इतनी ही है,
कभी तो आप की नज़र में आयेंगे;
आप खुद ही हमारे पास आयेंगे,
और हमारा हाल ए  दिल पूछेंगे।

बचपन हमने साथ जंहा गुजरा था,
हम आज भी उसी चौराहे को देखते है,
आज भी हम उसी मिट्टी के ढेर में बैठते है,
और आप को सोने के ढेर पर बैठा देखते है।

ख़ुशी होती है आप को खुश देख कर,
मुस्कुरा लेते है आप को मुस्कुराते देख कर,
मालिक से यही दुआ करते है हर बार,
गम का एक भी लम्हां न आये आप के पास।

 
आशिष महेता 


Creative Commons License


दिन और रात एसे ही गुजरते है by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, October 3, 2020

ચાલ ફરી અજાણ્યા થઈને મળીએ

ચાલ ફરી અજાણ્યા થઈને મળીએ,
એક બીજાને ફરીથી ઓળખીએ,
સમજણના આ આવરણ છોડીએ,
નવેસરથી ફરી એકબીજાને જાણીએ.

ગધાપચીસીની ઉંમરે આપણે મળ્યાતા,
બધું જ જાણીએ છીએ-સમજીએ છીએ,
ખબર પડે છે અમને બધી જ,
એ વહેમ સાથે મળ્યાતા.

એક-બીજાને જોઈને પસંદ કર્યા હતા,
આપણે ક્યાં એક-બીજાને જાણ્યા હતા,
લગ્નજીવનના એ તબકકામાં,
કેટલા રીસામણા મનામણાં કર્યા હતા.

મેં સંભાળી આર્થિક જવાબદારી,
તેં સંભાળ્યું ઘર અને પરિવાર,
મને તો વાર તહેવારે રજા પણ મળી,
પણ તારી તો જવાબદારી વધતી જ ચાલી.

પસાર થતા સમયની સાથે બાળકો મોટા થયા,
એમના લગ્ન થતાં એ પણ એમના પરિવારમાં ગોઠવાયા,
ઉંમર થતાં આંખે ચશ્માં આવ્યા અને માથે ધોળા દેખાયા,
વડીલોની વિદાય થઇ અને આપણે વડીલ કહેવાયા.

બાળકો એમના પરિવાર સાથે ચાલ્યા ગયા,
અને આપણે બંને ઘરમાં એકલા રહ્યા,
આર્થિક જવાબદારીમાંથી હું નિવૃત થયો,
તારી પ્રવૃત્તિમાં પણ હવે થોડો સમય બચ્યો.

ચાલ, તારા અને મારા બાકી શોખ પુરા કરીએ,
જિંદગીના આ પડાવે દુઃખની પળો ભૂલીએ,
હસી-ખુશીથી આપણે ફરી એક-બીજાને સમજીએ,
ચાલ ફરી અજાણ્યા થઈને મળીએ.



આશિષ એ. મહેતા


Creative Commons License



ચાલ ફરી અજાણ્યા થઈને મળીએ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/