Saturday, March 26, 2022

મારી કેસ ડાયરી : ભૂપત

પ્રિય વાંચકમિત્રો,

વર્કિંગ દિવસની એક સાંજે ઓફીસનો મેઈન ડોર ખુલ્યો અને એક પડછંદ વ્યક્તિ ઓફીસમાં દાખલ થયો. પંક્તિને કીધું, “બટા, તારા સાહેબને કે ભૂપત ભારાડી આયો સે.” અશુદ્ધ ગુજરાતી અને બોલવાની સાવ ગામઠી શૈલી.

પંક્તિએ આગંતુકની સામે જોતા અને નિરીક્ષણ કરતા-કરતા ઇન્ટરકોમ પર અજયભાઈને જાણ કરી, “સર, કોઈ ભૂપતભાઈ કરીને આપને મળવા આવેલ છે.” બંને હાથે કોણી સુધી વાળેલું સફેદ ઓપન શર્ટ અને સફેદ કોટન પેન્ટ, ઉભું ઓળેલું માથું, કપાળમાં લાલ ઉભો ચાંદલો, આંકડા ચઢાવેલ મોટી કાળા-ધોળા વાળ વાળી મૂછો અને એવા જ ખીચડી વાળ. ઉમર આશરે ૬૦ વર્ષ જેટલી. ગામડુ જાણે શહેરમાં આવી ગયું હોય એવું લાગી રહ્યું હતું.

“એમને, કોન્ફરન્સ રૂમમાં બેસાડો અને કોફી આપો. રામજીને અંદર ચેમ્બરમાં મોકલો.” અજયભાઈએ સુચના આપી.

“સર, આપને સાહેબે અંદર બેસવાનું કહ્યું છે. આપ અંદર બેસો.” કહી પંક્તિ આવનારને કોન્ફરન્સ રૂમમાં લઇ બેસાડયા. એ જ સમયે, રામજી અજયભાઇની ચેમ્બરમાં દાખલ થયો અને રામજીને અજયભાઈએ બધા માટે નાસ્તો લાવવાનું જણાવ્યું.

ઓચિંતા નાસ્તાની વાત આવી એટલે ચિંતન અને કેયુરની આંખોમાં એક ચમક આવી. કોન્ફરન્સ રૂમમાં અજયભાઈ, અભિજાત, ચિંતન અને કેયુર લગભગ જોડે જ દાખલ થયા.

“આવો, આવો, ભૂપતસિંહ. જય માતાજી, કેમ છો?” પુરા આદર સાથે અજયભાઈએ આવનારનું સ્વાગત કર્યું.

“બસ, માતાજીની દયા સે. ઓણ વરહાદ સારો થ્યો તે ખેતી પણ સારી થઇ.”

“ઘરે બધા મજામાં?” અજયભાઈએ પૂછ્યું.

“હોવ, મોજ છે. મોટાની ઘરવાળીનો ખોળો મહિના પહેલા ભર્યો અને નાનાના લગ્ન નક્કી કર્યા છે.”

રામજી નાસ્તો લઇને આવી ગયો. ગરમાગરમ મેથીના ગોટા, ગાંઠિયા અને જલેબીની સુગંધ આખા કોન્ફરન્સ રૂમમાં ફેલાઈ ગઈ. નાસ્તો અને બીજી આડી અવળી વાતો થઇ અને ભૂપતસિંહે વિદાય લીધી.

અજયભાઈ ચેમ્બરની બહાર સુધી વળાવવા ગયા અને ફરી આવવાનું જણાવ્યું.

“જેવી માતાજીની મરજી. એની મોજ હશે તો ફરી મળીશું.” કહી ભુપતસિંહે વિદાય લીધી.

“સાહેબ, આ ભૂપતસિંહ કોણ? કઈ ખ્યાલ ના આવ્યો અને કોઈ જ કોર્ટ કેસની વાત ના થઇ.” ચિંતને એના સ્વભાવ મુજબ પૂછ્યું.

“હતું જ કે તું કંઇક આવું જ પૂછીશ.” અજયભાઈએ જવાબ આપ્યો અને અભિજાત સામે જોયું અને અભિજાત પણ હસ્યો.

“આ ભૂપતસિંહ સૌરાષ્ટ્રના એક નાના ગામના વતની. અમારો પરિચય થયો ત્યારે હું જુનિયર તરીકે હતો અને આમના પર ખૂન કેસ ચાલુ હતો. એક કે બે વ્યક્તિના નહિ, પણ ચાર વ્યક્તિની હત્યાનો કેસ અને કોર્ટે સજા પણ કરી ચૌદ વર્ષ કેદ. કેદની સજા પૂરી કરીને જયારે આ ભૂપત કેદમાંથી બહાર આવ્યો ત્યારે આખું ગામ એને હાર-તોરા કરવા આવેલ. હું જેલમાં એને ઘણી વખત મળેલો. કેસની વિગત જાણ્યા પછી એમના પ્રત્યે માન થયું હતું.

વાત એવી હતી કે ભૂપતસિંહ એમના ગામના તત્કાલીન સરપંચશ્રીના ખાસ નજીકના વ્યક્તિ. એ સમયે સરપંચ તરીકે વખતસિંહ બાપુ હતા જો હું નામ ભૂલતો ના હોઉ તો અને એમના ઘરેથી જે હતા એ ભૂપતસિંહને પોતાનો ભાઈ માનતા. વખતસિંહની દીકરી રાજવીબા ભણવામાં ખુબ હોશિયાર એટલે અમદાવાદ સાયન્સ કોલેજમાં એડમીશન લીધું હતું અને વખતસિંહબાપુની સુચનાથી ભૂપતસિંહ રાજવીબાની જોડે જ અમદવાદ આવ્યા હતા. એ સમયે એમની ઉમર કદાચ ૩૫ આસપાસ હશે. રાજવીબા કોલેજના બીજા વર્ષમાં હતા અને એ સમયે જ આ ઘટના બની હતી. આપણા દેશમાં એક લઘુમતી સમુદાય છે, જેમના બહુ જ અલ્પ સંખ્યાના લોકો દેશના નાગરિક તરીકેની ફરજ બજાવે છે, બાકીના ન્યુસન્સ ક્રિએટ કરે છે. આ જ સમુદાયના બે છોકરાઓ રાજવીબાની પાછળ પડી ગયા. શરૂ શરૂમાં તો રાજવીબાએ આ નમૂનાઓને અવગણ્યા, પણ પછી એમનો ત્રાસ વધતો ગયો અને રાજવીબાએ આ વાત ભૂપતસિંહને કરી. ભૂપતસિંહે રાજવીબાની જોડે જ કોલેજ જવા અને આવવાનું શરૂ કર્યું. બે-ત્રણ દિવસ બરાબર ચાલ્યું, પણ કુતરાની પૂંછડી સીધી ના જ થાય એમ પેલા બે નમૂનાઓ પણ બે-ત્રણ દિવસ પછી પોતાની જાત પર આવી ગયા. શનિવારનો દિવસ હતો અને કોલેજ છુટવાનો સમય હતો અને રાજવીબા કોલેજથી છૂટીને મેઈન ગેટથી બહાર આવી રહ્યા હતા. એ સમયે પેલા બંને નામુનાઓએ રાજવીબાનો હાથ પકડી લીધો. રાજવીબાએ એના ગાલ ઉપર એક થપ્પડ રસીદ કરી. જાહેરમાં આવું સન્માન થવાથી એમાંનો એક નમુનો ઉશ્કેરાઈ ગયો અને એની બાઈકની ડેકીમાંથી એક કાચની બોટલ કાઢી અને બુચ ખોલ્યો. ગેટની સામે ઉભેલ ભુપતસિંહે આ જોયું એને એસીડ એટકનો અંદાજ આવી ગયો. એ દોડીને પેલા એસીડની બોટલ જેના હાથમાં હતી એની નજીક ગયા અને પેલા નમુનાઓને એક ધોલ રસીદ કરી, એસીડની બોટલ રોડ ઉપર ઢોળાઈ ગઈ. આ બનાવ જોઈ આ નમૂનાઓની મદદે બીજા બે નમૂનાઓ આવી ને ઉભા રહ્યા. એમાંના એકે ભૂપતસિંહને મા સમી ગાળ દીધી અને એણે એની જિંદગીની છેલ્લી ભૂલ કરી. દરબારી લોહી, ખેત મજુરી કરીને કસાયેલ શરીર, એક જ લાત પાંસળીમાં મારી અને પાંસળીનું પાંજરું તૂટી ગયું અને ફેફસા કાણાં થઇ ગયા. પિક્ચરના પડદે જોવા મળતો જંગ જાહેરમાં જામ્યો અને એ જંગમાં ભૂપતસિંહના હાથે ચારે ચાર નમૂનાઓ આ દુનિયામાંથી વિદાય થયા. ભૂપતસિંહનો કેસ એ વખતના ક્રિમીનલના બેસ્ટ વકીલે હાથમાં લીધો. એમની જ ઓફિસમાં કોઈ એક સમયના મારા સીનીયર મદદનીશ વકીલ તરીકે હતા. કાયદામાં કોઈ પણ કાર્ય કે ગુના પાછળ ઈરાદો શું હતો, એ ધ્યાને લેવાય છે. એ મુજબ ભૂપતસિંહનો ઈરાદો ધ્યાને લેતા કોર્ટે ૧૪ વર્ષ કેદની સજા ફટકારી. એ ઘટના પછી કોલેજમાં, આવા નમૂનાઓનું ન્યુસન્સ ઓછુ થઇ ગયું.

આ છે ભૂપતસિંહની હકીકત.” અજયભાઈએ વાત પૂરી કરી અને આગળ કહ્યું, “ચાલો લેટ થઇ ગયા. રામજી વસ્તી કરો.” કહી ઉભા થયા અને એમની વ્હાઈટ ફોર્ચ્યુનર ગાડીની ચાવી લઇ ઓફીસની બહાર નીકળ્યા અને સાથે સાથે ચિંતન, કેયુર અને અભિજાત પણ.


આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License


મારી કેસ ડાયરી : ભૂપત     by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, March 19, 2022

મારી કેસ ડાયરી : મકવાણાસાહેબ

પ્રિય વાંચકમિત્રો,

“સાહેબ, એક ટ્રસ્ટ બનાવી મારી બધી મિલકત એ ટ્રસ્ટના નામ પર કરી દેવી છે અને ટ્રસ્ટનું મુખ્ય કામ જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓની મદદ કરવાનું હોય.”

વર્કિંગ દિવસની એક નમતી બપોરે અજયભાઈ પટેલની ઓફિસમાં આશરે ૬૮-૭૦ વર્ષની એક પ્રૌઢ વ્યક્તિએ પ્રવેશ કર્યો. કોઈ પ્રિફિક્સ એપોઇન્ટમેન્ટ ન હતી એટલે થોડી વાર રાહ જોવી પડી અને પંક્તિને પોતાનો પરિચય નિવૃત ડી.વાય.એસ.પી. મકવાણાસાહેબ તરીકે આપ્યો. પંક્તિએ એની ફરજના ભાગ રૂપ ઓફીસના ઇન્ટરકોમ પર અજયભાઈને આવેલ મુલાકાતીનો પરિચય જણાવ્યો. ઓફીસની પ્રથા મુજબ રામજીએ પાણી આપી અને પછી કોફી સર્વ કરી. લગભગ પંદરેક મિનીટ પછી રીસેપ્શન પરનો ઇન્ટરકોમ રણકી ઉઠ્યો. પંક્તિએ કોલ રીસીવ કર્યો અને મકવાણાસાહેબને ચેમ્બરમાં જવા જણાવ્યું.

“મે આઈ કમ-ઇન, સર?” ચેમ્બરનો દરવાજો અડધો ખોલીને મકવાણાસાહેબે પૂછ્યું.

“યસ પ્લીઝ” આવનારના હોદ્દાનું માન જાળવતા અજયભાઈએ એમની ચેર પરથી ઉભા થઇ સ્વાગત કર્યું અને નિરીક્ષણ પણ.

સફેદ પેન્ટ અને સફેદ ઓપન શર્ટ, ઉમરના હિસાબે થોડું વધી ગયેલું પેટ અને ચહેરા પરની કરચલીઓ બાદ કરવામાં આવે તો એકંદરે મજબૂત બાંધો. ટૂંકા વાળ અને ક્લીન શેવ સાથે પ્રમાણસર ટ્રીમ કરેલી મૂછ. પાણીદાર આંખો પણ કઇક ઉદાસી ભરેલી. હાથમાં બ્રીફકેસ. આવનારે અજયભાઈની સામેની ચેર પર બેઠક લીધી અને અજયભાઈએ પણ.

કોઈ પણ પ્રકારની આડી અવળી વાત કર્યા વગર, મકવાણાસાહેબે એમની બ્રીફકેસ ખોલી અને એક ફાઈલ અજયભાઇના ટેબલ પર મૂકી અને કહ્યું, “સાહેબ, આમાં મારી બધી જ મિલકતોની વિગત અને પુરાવા છે. મારી જીવનભરની કમાણી. આ બધી જ પ્રોપર્ટી ટ્રસ્ટમાં લઇ જવાની છે અને આપ સાહેબે પણ એ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કાર્યભાર સંભાળવાનો છે.”

“માફ કરશો સાહેબ, પણ મને યાદ નથી આવતું કે આપણે પહેલા ક્યારેય મળ્યા હોય?” અજયભાઈએ કીધુ.

“સાહેબ, આપની વાત સાચી છે. આપણે પહેલા ક્યારેય મળ્યા નથી. પણ મેં આપના વિષે પૂરી માહિતી મેળવી લીધી છે અને આપના હવે પછીના સવાલનો જવાબ પણ આપી દઉં.”

એક નાના ગામમાંથી શહેરમાં ભણવા આવ્યો આખું નામ (આખું નામ આપ્યું પણ અહીં હું જણાવતો નથી આપણે મકવાણાસાહેબ થી જ ઓળખીશું) અને કોલેજ પૂરી કરી. એ સમયે સરકારી પરીક્ષા પાસ કરી અને અનામતનો લાભ મળી ગયો. પોલીસખાતામાં સબ-ઇન્સ્પેકટર તરીકે નોકરી લાગ્યો. સમાજમાં લગ્ન થયા, સાવિત્રી સાથે, અને ધીમે ધીમે નિયમ મુજબ મારું પ્રમોશન અને ટ્રાન્સફર. ખાખીનો ઉપયોગ કર્યો અને ખુબ પૈસા બનાવ્યા. પરિવારમાં એક દિકરાનું આગમન થયું અને સાથે સાથે મારી લાલચમાં વધારો પણ. મારા સ્વભાવમાં સ્વાર્થીપણામાં વધારો થતો ગયો. ધીમે ધીમે મારા કુટુંબ અને સમાજથી મેં અંતર બનાવવાનું શરુ કર્યું. ચિરાગ, મારા પુત્રને સારી સ્કુલમાં ભણવા મુક્યો. સમય પસાર થતો ગયો. હું પૈસા બનાવતો ગયો. સમાજ અને પરિવારથી દૂર થતો ગયો. ચિરાગ મોટો થતો ગયો અને મિત્રો સાથે બગડતો પણ ગયો. એની કોલેજ પૂરી થઇ અને મેં મારી વગ વાપરીને એને બે–ત્રણ બિલ્ડરના ત્યાં ભાગીદાર બનાવી દીધો. રૂપિયાનું રોકાણ કરવાનું હતું નહિ, બસ મારે મારા હોદ્દાનો ઉપયોગ એમની સ્કીમ માટે કરવાનો હતો. સારું ઘર જોઈ ચિરાગને પણ પરણાવ્યો. મારી નોકરીના છેલ્લા સમયગાળામાં એક દિવસે મને એક સાથે ખુશીના બે સમાચાર મળ્યા એક મારું પ્રમોશન થયું અને હું ડી.વાય.એસ.પી. બન્યો અને એ જ દિવસે મારી પુત્રવધુ નીરાએ ટ્વીન્સ બાળકો, એક પુત્ર અને એક પુત્રી, રેહાન અને રેહાનીને જન્મ આપ્યો. એ દિવસે હું બહુ જ ખુશ હતો. મારી જિંદગીનો એ સહુથી મોટો ખુશીનો દિવસ હતો.”

વાતને વચ્ચે અટકાવી મકવાણાસાહેબે પાણી પીધું અને અજયભાઈએ રામજીને ઇન્ટરકોમ પર કોફી લાવવાનું જણાવ્યું. રામજી કોફી સર્વ કરીને ગયો અને ચેમ્બરમાં કોફીની એરોમા (સુવાસ) ફેલાઈ ગઈ. મકવાણાસાહેબે કોફીનો કપ ઉપાડ્યો અને એક સીપ લીધો અને સામેની દિવાલ પર જોઈ રહ્યા. જાણે ભૂતકાળમાં જોઈ રહ્યા હોય.

“સાહેબ, તમે કર્મનો સિધ્ધાંત પુસ્તક વાંચ્યું હશે.” કોફી પૂરી કર્યા બાદ મકવાણાસાહેબે વાત આગળ વધારી.

“હા, વાંચી લીધી છે.” અજયભાઈએ જણાવ્યું.

“હું આ વાત નહતો માનતો, પણ હવે માની રહ્યો છું. આ બધી જ મિલકત નીતિ અને ઈમાનદારીની કમાણીની તો નથી જ અને અન્ન એવા ઓડકાર એ કહેવત મુજબ ચિરાગ વધુને વધુ બગડતો ગયો અને દારૂની લતે ચડી ગયો અને પછી સટ્ટાબાજીના રવાડે. હું નિવૃત્ત થઇ ગયો અને ચિરાગને ભાગીદારીમાંથી છૂટો કરવામાં આવ્યો. લગભગ સાત મહિના પહેલા ચિરાગે સટ્ટાબાજીમાં એકાદ કરોડનું નુકશાન કર્યું. એ રાત્રે મેં એને સમજાવ્યો એના પર ગુસ્સે પણ થયો. બસ, એ રાત મારા જીવનનો ટર્નીંગ પોઇન્ટ બની ગઈ. મોડી રાત્રે મારા ઘરમાં ગોળીના અવાજ ગુંજી ઉઠ્યા. ચિરાગે એની પત્ની નીરા, બંને બાળકો રેહાના અને રેહાનીને ગોળી મારી દીધી અને પછી પોતે પણ પોતાના લમણે ગોળી મારી દીધી. ઘરમાં એક સાથે ચાર લાશ જોઈ મારી પત્ની સાવિત્રીનું હૃદય બંધ થઇ ગયું અને આ સંસારમાં હું એકલો રહી ગયો. મારા કર્મોનું પ્રાયશ્ચિત કરવા માટે. એ ઘટનાના બે મહિના સુધી હું પાંચ બેડરૂમના મારા મકાનમાં સાવ ભૂત જેવો એકલો ફરતો રહ્યો. મગજ કામ કરતુ બંધ થઇ ગયું હતું. માનસિક અશાંત થઇ ગયો હતો. ભગવાન કે પૂજા ભક્તિ સાથે ક્યારેય કોઈ સંબંધ ન હતા, પણ એક દિવસ સમય પસાર કરવા માટે ગીતાનો અધ્યાય કર્મ યોગ વાંચ્યો. એના વિષે વિચાર્યું. એ પછી ઘણા ધાર્મિક પુસ્તકો વાંચ્યા. મને મારા કર્મોનું ફળ મળવાનું શરૂ થઇ ગયું હતું. મારા શરીરમાં બીમારી ઘર કરવા લાગી. મને હાલમાં છેલ્લા સ્ટેજનું બોર્ન કેન્સર છે મારી પાસે હવે વધુ સમય નથી. તમારા વિષે પુરતી માહિતી એકત્રિત કરી અને જાણી લીધું કે આપ એક ઈમાનદાર અને નિષ્ઠાવાન વકીલ છો. બસ, મને મારા નિર્ણય માટે આપ સહુથી વધુ યોગ્ય લાગ્યા એટલે વગર એપોઇન્ટમેન્ટે સીધો અહીં આવી ગયો, મારી બધી જ મિલકતોની વિગતો લઇને. બસ હવે આપ એક ટ્રસ્ટ બનાવી આ બધી જ મિલકત એ ટ્રસ્ટમાં લઇ અને આ મિલકતનો વહીવટ એવી રીતે આપ કરો કે જેથી મધ્યમ વર્ગીય પરિવારના જરૂરિયાત વાળા બાળકોના અભ્યાસમાં મદદરૂપ થઇ શકું. કદાચ, મારી પાપની કમાઈનો સદઉપયોગ કરવાનો આનાથી વધુ સારો કોઈ રસ્તો નહિ હોય.”

“સાહેબ, આપની જીવનકથા સાંભળી બહુ દુઃખ થયું. આપનું કાર્ય થઇ જશે. ટ્રસ્ટ પણ બની જશે પણ એક મારી વિનંતી કે હું ટ્રસ્ટી તરીકે સેવા નહિ આપી શકું. હા પણ નિષ્ઠાવાન વ્યક્તિઓને ટ્રસ્ટમાં લેવાની અને ટ્રસ્ટની લીગલ મેટર સંભાળવાની કામગીરી હું કરીશ.”

“ઓકે, થેન્ક્સ ચાલશે. હું રજા લઈશ. આ મારા કાર્ડમાં મારૂં સરનામું અને મોબાઈલ નંબર છે જ અને આપને વાંધો ના હોય તો હું દર બે દિવસે આપને ફોન કરતો રહીશ. આ દુનિયામાં હવે મારું કોઈ રહ્યું નથી, બસ આપને આ આખરી કામ આપ્યું છે. ખબર નહીં, મારો કયો દિવસ આખરી દિવસ હશે.” વાત પૂરી કરી મકવાણાસાહેબ ઉભા થયા અને સાથે અજયભાઈ અને અભિજાત પણ. અજયભાઈએ હાથ લંબાવી શેક હેન્ડ કર્યું અને કહ્યું, “સાહેબ, નિરાશ ના થશો. ઓલ વિલ બી ફાઈન.” અને ઓફીસના મેઈન ગેટ સુધી અજયભાઇ મકવાણાસાહેબને વિદાય આપવા ગયા.


આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License


મારી કેસ ડાયરી : મકવાણાસાહેબ     by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, March 5, 2022

અલખના ઓટલે દાસબાપુ – ૭ : કર્મની લેણદેણ

 દાસ બાપુ – ૭ કર્મની લેણદેણ

=======================


“બાપુ જીવનથી થાકી ગયો છું. મને એવું લાગે છે કે જીવનનો કોઈ ધ્યેય નથી.”

“આપણું ઘર” આશ્રમમાં એક સાંજે દાસ બાપુની સામે એક આશરે ૪૦ વર્ષનો વ્યક્તિ બેઠો હતો. દેખાવ અને પહેરવેશ પરથી ખાધે પીધે સુખી ઘરનો હોય એવું જણાઈ આવતું હતું. આશ્રમમાં બે દિવસથી એ આવેલ હતો અને આજે સાંજે દાસ બાપુ પાસે એ એની જીવન કથની કહેવા બેઠો હતો.

“મારું નામ મનીષ. એક માધ્યમ વર્ગીય પરિવારમાં જન્મ થયો અને કરકસર ભર્યા વાતાવરણમાં ઉછેર થયો. મારા પિતાએ મને એમની ક્ષમતા કરતા પણ વધુ ખર્ચ કરી મને ભણાવ્યો અને મેં પણ પોસ્ટ ગ્રેજયુએશન કરી એમના ખર્ચેલ નાણાને સાર્થક કરી બતાવ્યા. સમાજના આગેવાનોએ  બતાવ્યું એ ઘરે સંબંધ થયો અને લગ્ન પણ. લાગણી વગરનું લગ્નજીવન અને ક્ષમતા વગરની મહત્વકાંક્ષાનું પરિણામ એટલે મારું લગ્ન જીવન. મારી પત્નીનું નામ રમીલા. ગામડામાં ઉછેર એટલે શહેરી રીતભાતથી સાવ અજાણ. મને એનો વાંધો ન હતો. પણ મારા સાસુની મહત્વકાંક્ષા સીધી જ રમીલામાં આવેલ. મને એક ખાનગી કંપનીમાં નોકરી મળી હતી. પગાર સારો હતો પણ મારા સાસુ અને મારી પત્નીની મહત્વકાંક્ષાની સામે બહુ જ ઓછો હતો. ખાનગી કંપનીની નોકરીમાં નોકરી પર હાજર થવાનો સમય નક્કી હોય પણ છૂટવાનો સમય નક્કી નથી હોતો. સરેરાશ દિવસના ૧૦ કલાક નોકરીમાં અને ૨ કલાક નોકરી પર આવવા-જવાના થતા. ગામડે પિતાજીની વારસાની જમીન વેચાઈ એના રૂપિયા અને થોડી રકમની મેં લોન લઇને પોતાની માલિકીની એક મકાન કર્યું. જે માવતરે મને ભણાવ્યો-પાળ્યો એમને સાચવવા એ મારી ફરજ હતી. હું મારા માં-બાપ અને મારી પત્ની ચાર જણા. શરૂ શરૂમાં બહુ વાંધો ના આવ્યો પણ કરકસરની ટેવ પડી ગઈ હોય એ વડીલ અને આધુનિકતાને સમજ્યા વગર અપનાવવા માંગતી ગૃહિણી વચ્ચે ધીમે ધીમે ખટરાગ થવા લાગ્યો. મારા મમ્મીના સૂચનો રમીલાને કડવા લાગતા. અધૂરામાં પૂરું આ મોબાઈલ ફોન- સ્થળની મર્યાદા પળમાં દૂર કરે અને સમાચાર પહોંચાડે, રમીલા અને મારા સાસુ વચ્ચેની સામાન્ય વાતચીત ધીમે ધીમે કાનભંભેરણીમાં પરિવર્તિત થઇ અને એમાંથી રમીલાને મારી મા પ્રત્યે પૂર્વગ્રહ જન્મ્યો અને ઘરનું વાતાવરણ ધીમેધીમે બગાડવા લાગ્યું. પસાર થતા સમયની સાથે અમારા ગૃહસ્થ જીવનમાં એક દીકરી – ક્રીશીનું આગમન થયું. થોડો સમય બધું સરસ ચાલ્યું પણ પ્રાણ અને પ્રકૃતિ જોડે જાય એમ ક્રીશી એક વર્ષની થઇ અને ઘરનું વાતાવરણ પાછુ હતું એવું ને એવું થયું. સંસારમાં જો કોઈ સત્ય હોય તો એ મૃત્યુ છે એ નિયમ મુજબ મારા પિતાનું દેહાવસાન થયું અને આ આઘાત મારી મા જીરવી ના શકી પિતાના અવસાનના બરાબર તેરમાં દિવસે એને પણ દેહ મૂકી દીધો. પાછળ રહી ગયો હું, રમીલા અને પુત્રી ક્રીશી સાથે. એના થોડા મહિના બાદ મારા સસરાનું અવસાન થયું એના મારા સાસુ અમારા ઘરે અમારી જોડે રહેવા આવી ગયા. બસ એ પછી ધીરે ધીરે મારી હાલત ઘરમાં એક પેઈંગ ગેસ્ટ જેવી થવા લાગી જેની મુખ્ય જવાબદારી ઘરખર્ચ પૂરો પાડવાની હતી. સમય સાથે નોકરીમાં પગાર પણ વધ્યો હતો. પણ સામા પક્ષે રમીલા અને મારા સાસુની ઉચ્ચ જીવન ધોરણની મહત્વકાંક્ષા વધુ પ્રમાણમાં વધતી ગઈ. પરિણામ મારા અને રમીલા વચ્ચે અંતર વધતું ચાલ્યું અને બોલવાનું પણ લગભગ બંધ થઇ ગયું. સતત ઉપેક્ષાના કારણે,  હું રાત્રે મોડો ઘરે જતો, જે બનાવ્યું હોય – જે વધ્યું હોય એ જમી સુઈ જતો સવારે વહેલા ઉઠી ઓફીસ. ક્રીશી સાતમા ધોરણમાં આવી ગઈ. એની ટ્યુશન ફી અને સ્કુલ ફી અને એના ભવિષ્ય અને મારી માર્યાદિત આવકને લઇને ઘરમાં થતી માથાકૂટનું પ્રમાણ પણ વધવા લાગ્યું. બસ, એક સવારે ઓફીસ ટુર પર જવાનું જણાવી હું ઘરેથી નીકળી ગયો અને સીધો આપના આશ્રમમાં આવી ગયો.” લગભગ એક શ્વાસે પોતાની જીવનકથની પૂરી કરી એને વિરામ લીધો.

“ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે દ્રષ્ટા ભાવ જણાવેલ છે. ભાઈ, આ સંસારમાં આપણે પણ આવો જ દ્રષ્ટા ભાવ કેળવવાની જરૂર છે. કર્મોની લેણદેણ મુજબ જ આ સંસારમાં જીવાત્માનું આગમન થાય છે જેની સાથે લેણદેણ એ મુજબ માતા, પિતા, ભાઈ, બહેન, પતિ-પત્ની, પુત્ર, પુત્રીના સંબંધો સ્થપાય છે. સંસારની આ મોહ અને માયામાં આપણે ગીતાનું ઉચ્ચારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણના વચનને ભૂલી જઈએ છીએ, રણ મેદાનમાં શત્રુ પક્ષે પોતાના જ સગા સંબંધીઓને યુદ્ધ માટે ઉભેલા જોઈ નાસીપાસ થયેલ અર્જુનને ભગવાને માત્ર યુદ્ધ કરવાનું કહ્યું હતું પરિણામની ચિંતા કે વિચાર કરવાનું નહતું કીધું. તને પણ હું એમ જ કહીશ કે, જે રીતે તું જીવન જીવતો હતો એ જ રીતે જીવ. એ અપેક્ષા છોડી દે કે તારો પરિવાર કે આ સંસાર તારી હયાતીમાં તારી કદર કરશે. તું એક સારા પુત્ર તરીકે જીવ્યો એક સારા પતિ તરીકે પણ અને એક સારા જમાઈ તરીકે પણ અને એક સારા પિતા તરીકે પણ બસ તું થાકી એટલે માટે ગયો કે તે સામેના પાત્રો પાસેથી સારા વર્તનની અપેક્ષા રાખી. મારી તને સલાહ એ જ કે, પિતા તરીકેનું તારું કર્તવ્ય કર, કોઈ પણ પ્રકારના સારા વર્તાવ કે અન્ય કોઈ પણ અપેક્ષા વગર. ભગવાન તારો માર્ગ પ્રશસ્ત કરે અને તારા પર કૃપા કરે.” અભય મુદ્રામાં હાથ ઉઠાવી દાસ બાપુ એ સમાધાન આપ્યું અને સચોટ માર્ગદર્શન મળ્યાનો સંતોષ મનીષના ચહેરા પર દેખાઈ રહ્યો હતો અને ચહેરા પરની નિર્દોષતા સાથે એણે સવાલ પૂછ્યો, “બાપુ, હું ફરી આશ્રમમાં આવી શકું.” એવા જ હસતા ચહેરે દાસ બાપુએ જવાબ આપ્યો, “આ આશ્રમનું નામ આપણું ઘર છે. ગમે ત્યારે આવી શકે છે.”

દાસ બાપુ પોતાના આસન પરથી ઉભા થયા અને કુટીરમાં ગયા અને મનીષ, પરત પોતાના સંસારમાં જવાના નિર્ણય સાથે એને ફાળવવામાં આવેલ રૂમમાં જવા ઉભો થયો.


આશિષ એ. મહેતા

********************************************************************************************


Creative Commons License



અલખના ઓટલે દાસબાપુ – ૭ : કર્મની લેણદેણ    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/