Saturday, October 30, 2021

મારી કેસ ડાયરી : બિંદુબા ઝાલા

 પ્રિય વાંચકમિત્રો,



“ચિંતન, આવતીકાલે સવારે શાર્પ ૮.૦૦ વાગે તૈયાર રહેજે. હું અને અભિજાત તને તારા ઘરે લેવા આવીશું. આપણે દરબારગઢ જવાનું છે અને ફોર્મલ કપડા પહેરજે.”

શનિવારની મોડી સાંજે અજયભાઈએ ચિંતનને આદેશાત્મક સ્વરે ફોન પર જણાવ્યું અને સામેથી કોઈ જ પ્રતિભાવની અપેક્ષા વગર ફોન કટ કરી નાખ્યો.

ચિંતન આવા ફોનથી ટેવાયેલો હતો અને જાણતો પણ હતો કે, જયારે જયારે આવી સુચના અજયભાઈ તરફથી મળે ત્યારે એક નવી જ ઘટના, એક નવા જ વ્યક્તિ-વ્યક્તિત્વનો પરિચય થવાનો છે.

બીજા દિવસે એટલે કે રવિવારની સવારે અજયભાઈ એમની સફેદ ફોર્ચ્યુનર લઇને સવારે ૮.૦૦ વાગે ચિંતનના ફ્લેટની બહાર આવી ગયા અને ચિંતન પણ તૈયાર જ હતો. અજયભાઈએ ગાડી એસ.જી. હાઇવેથી ગાંધીનગર તરફ વાળી, કારમાં ઓલ્ડ ઇસ ગોલ્ડ ડ્યુએટ ધીમા અવાજે વાગી રહ્યા હતા. અજયભાઈ ડ્રાઈવીંગ કરી રહ્યા હતા અને એમની બાજુની સીટ પર અભિજાત અને પાછળની સીટ પર ચિંતન બેઠો હતો. હાઇવે પર ગાડી પાણીના રેલાની જેમ આગળ વધી રહી હતી અને ચિંતને એની આદત મુજબ ઉત્સુકતાપૂર્વક સવાલ પૂછ્યો, “સાહેબ, દરબારગઢ એટલે ક્યાં જવાનું છે?”

“હું રાહ જ જોઈ રહ્યો હતો કે તું ક્યારે સવાલ પૂછીશ?” હસતા-હસતા અજયભાઈએ જવાબ આપ્યો અને અભિજાતે પણ હાસ્યમાં એનો સુર પુરાવ્યો.

“સાંભળ, આપણે હિંમતનગર પાસેના એક જુના રજવાડામાં જઈ રહ્યા છીએ. દરબારગઢ એટલે એક સમયનો મહેલ. હાલ ત્યાં બિંદુબા ઝાલા રહે છે. બિંદુબા એટલે એટલા વિસ્તારનું જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં મહિલા કલ્યાણ કાર્યો બાબતે જાણીતું નામ. એક વિરલ વ્યક્તિત્વ. આજે એમના ત્યાં પૂજા રાખી છે અને આપણને બોલાવ્યા છે.”

“થોડુંક ડીપમાં જણાવોને, સાહેબ” ચિંતને કીધું.

“હમમ, આજે લગભગ બિંદુબાની ઉંમર ૫૫ આસપાસ હશે. એમને એ સમયે એમના પિતાજીએ ભણાવ્યા જયારે સમાજમાં દીકરીઓને શાળાએ કોઈ મોકલતું ન હતું. બિંદુબા એ ડબલ પી.એચ.ડી. કર્યું. કાયદાના સ્નાતક, પણ વકીલાત નથી કરતા. અભ્યાસ પૂર્ણ થયો અને એમના લગ્ન થઇ ગયા પાર્થિવસિંહજી જોડે. જાણે રામ-સીતાની જોડી. સમાજ કલ્યાણની વિચારધારા બંનેના લોહીમાં વહે એવું કહીએ તો પણ ખોટું નથી. તું સમન્વય તો જો, માતા શક્તિના સંતાનો જેમણે માતા સરસ્વતીની આરાધના કરી અને એમના ઉપર માતા લક્ષ્મીજીની પણ અનહદ કૃપા. બંને પતિ-પત્નીએ અનાથ અને ત્યજી દેવાયેલ બાળકીઓને દત્તક લેવાનું શરૂ કર્યું અને એના માટે એક ટ્રસ્ટ બનાવ્યું. ધીમે ધીમે ટ્રસ્ટની કાર્ય પ્રવૃત્તિ વિકસી અને બિંદુબાએ ત્યકતા અને વિધવા સ્ત્રીઓને પણ આશ્રય આપવાનું શરૂ કર્યું. કન્યા કેળવણી અને નારી સશક્તિકરણની માત્ર વાતો કરનારાઓએ એક વખત બિંદુબા અને પાર્થિવસિંહજીને મળવું જ રહ્યું. આજે એમના ટ્રસ્ટમાં પ્રાથમિક શિક્ષણથી લઇ કૌશલ્યવર્ધન અંગેની તમામ કામગીરી કરવામાં આવે છે. અનાથ બાળકીના પાલક માતા-પિતા બની તેમને યોગ્ય ઠેકાણે પરણાવવા અને લગ્ન બાદ પણ આવી દિકરીને તકલીફ ના પડે એનું પણ ધ્યાન રાખે છે. એમના સંતાનો હર્ષવર્ધનસિંહ અને અનિરુધ્ધસિંહ પણ આ સેવા કાર્યને આગળ વધારી રહ્યા છે. સારા કાર્યમાં સહુ સાથ આપે એ મુજબ વિદેશથી પણ હાલમાં ઘણી આર્થિક સહાયની ઓફર આવે છે અને બિંદુબાના રેફરન્સથી એમના ટ્રસ્ટની આશ્રિત દિકરી કે મહિલાને નોકરી પણ લાયકાત હોય તો પ્રમાણમાં સરળતાથી મળી જાય છે. આજે ટ્રસ્ટની સ્થાપનાને ત્રીસ વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે પૂજા રાખેલ છે.” અજયભાઈએ જણાવ્યું.

“સાહેબ, આમાં આપણે ક્યાં વચ્ચે આવ્યા એ ખ્યાલ ના આવ્યો?”

“તું ખરેખર ખોટી લાઈનમાં છે. માર્કેટિંગની લાઈન છોડ અને મારી ઓફીસ જોઈન કરી લે.” સહેજ સ્મિત સાથે અજયભાઈએ કહ્યું અને આગળ જણાવ્યું, “લગભગ બે વર્ષ પહેલા હું અને બિંદુબા ફેમીલી કોર્ટમાં અનાયાસે જ ભેગા થઇ ગયા હતા. હું મારા અસીલ વતીથી મેટર આર્ગ્યુ કરી રહ્યો હતો અને એ એમના ટ્રસ્ટની કોઈ સ્ત્રી વતીથી એના ભરણપોષણ માટે આવ્યા હતા અને એમના વકીલ ગેરહાજર હતા એટલે એમણે પેલી સ્ત્રી વતીથી રજૂઆત કરી. જજ સાહેબે એમની લોકસ સ્ટેન્ડી અંગે સવાલ પૂછ્યો ત્યારે એમણે એમનો પરિચય આપ્યો. એમના ટ્રસ્ટ “ઝાલા મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ” વિશે મેં પણ એક-બે દિવસ પહેલા જ વાંચ્યુ હતું એટલે એમની વાત પતી એ પછી કોર્ટ હાઉસની બહાર મેં એમની સાથે પરિચય કેળવ્યો. એમણે મને કહ્યું, “તમારા આર્ગ્યુમેન્ટસ સારા હતા, પણ સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાનો ઉલ્લેખ કરવા જેવો હતો.” હું એમની વાત સાંભળી આશ્ચર્યચકિત થઇ ગયો, શું અભ્યાસ અને જાણકારી! બસ, એ પછી મારી પાસે કોઈ પણ જરૂરિયાત વળી સ્ત્રી આવે ત્યારે એને હું બિંદુબા ઝાલાના ટ્રસ્ટનું સરનામું આપી દેતો અને અમદાવાદમાં કોઈ મહિલાને કાયદાકીય મદદની જરૂર હોય તો બિંદુબા ઝાલા આપણી ઓફીસનું સરનામું આપી દે. બસ આ જ પરિચય.”

હિંમતનગરથી થોડેક પહેલાં ગાડી એક સિંગલ પટ્ટી રોડ પર વળી અને થોડાક વળાંકો પછી સામે દેખાયો દરબારગઢ. બિંદુબા ઝાલા અને પાર્થિવસિંહજીનું નિવાસ સ્થાન અને “ઝાલા મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ”નું મુખ્ય કાર્યાલય અને એના આશ્રિતોનું નિવાસસ્થાન.

“આજના સમયમાં પણ આવા વ્યક્તિ ખરેખર માની ના શકાય. થેંક યુ, સાહેબ, આજે તમે મને જોડે લીધો એ બદલ.” ચિંતને જણાવ્યું.

“અલા, એમાં શેનું થેંક યુ? તું ક્યાં બહારનો છે.” અજયભાઈએ કહ્યું અને સામે દરવાને જે જગ્યા બતાવી ત્યાં ગાડી પાર્ક કરી. ગાડીમાંથી બુકે લઇ દરબારગઢમાં દાખલ થયા. મુખ્ય દરવાજાની સામેના વિશાળ ચોકમાં મંડપ બાંધેલ હતો. તેની ચારે તરફ આમંત્રિતો માટે સોફા ગોઠવેલ હતા. અસલ રજવાડી પોષાકમાં સજ્જ ઘણા બધા દરવાનો મહેમાનોની સેવામાં હતા. અજયભાઈ, અભિજાત અને ચિંતનને આવતા જોઈ જીવનના પાંચ-પાંચ દાયકાના અનુભવ લીધેલ એક દંપતી સામે સ્વાગત માટે આવ્યા. બંનેમાં પ્રથમ નજર જે સામ્ય હતું તે, તેજસ્વી આંખો, રજવાડી પોષાક, ટટ્ટાર અને ખુમારી સભર ચાલ, ચહેરા પર એક હળવું સ્મિત. અજયભાઈએ ચિંતનને પરિચય આપ્યો, “આ છે બિંદુબા ઝાલા અને પાર્થિવસિંહજી" અને એમને ચિંતનનો પરિચય આપ્યો, "આ છે અમારો ખાસ મિત્ર ચિંતન. આપની પરવાનગી કે સુચના વગર લાવ્યો એ બદલ દિલગીરી.”

“આવો, આવો, સાહેબ, જય માતાજી અને સારું કર્યું આપના મિત્રને પણ લાવ્યા. અમને પણ આનંદ થયો કે આપે અમારા પ્રસંગને આપનો પ્રસંગ ગણ્યો અને પારિવારિક સંબંધોમાં દિલગીરી ના હોય.”

એ પૂરો દિવસ દરબારગઢની મહેમાનગતિ માણી, ક્યારેય ના ભૂલી શકાય તેવી.


આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : બિંદુબા ઝાલા    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, October 23, 2021

વાતમાં રસ નથી

વાત જો વજન વાળી હોય તો કર, ક્ષુલ્લક વાતોમાં રસ નથી;
પડદા અંતરના અને આંખોના ખોલે એવી વાત હોય તો કર, ફોતરા ઉખાડે એવી વાતોમાં રસ નથી.

વાત જો પ્રતિજ્ઞાની કરવી હોય તો ભીષ્મની કર, તૂટે એવી પ્રતિજ્ઞાની વાતમાં રસ નથી;
વાત જો પ્રેમની કરવી હોય તો રાધા અને રૂક્ષ્મણીની કર, રોમિયો જુલિયટની વાતમાં રસ નથી.

વાત જો વફાદારીની કરવી હોય તો ચેતક અને રામપ્રસાદની કર, જયચંદ જેવા ગદ્દરની વાતમાં રસ નથી;
વાત જો ખુમારીની કરવી હોય તો રાણા અને શિવાજીની કર, પૈસા ખાતર વેચાઈ જાય એની વાતમાં રસ નથી.

વાત જો ભક્તિની કરવી હોય તો મીરા અને નરસિંહની કર, દેખાડાની ભક્તિ કરનારની વાતમાં રસ નથી;
વાત જો ગુરૂની કરવી હોય તો શંકરાચાર્ય અને ગુરૂ ગોવિંદસિંહજીની કર, બની બેઠેલા ધુતારાઓની વાતમાં રસ નથી.

વાત જો નેતાની કરવી હોય તો સુભાષચન્દ્ર અને શાસ્ત્રીજીની કર, જાતને પંડિત અને મહાત્મા કહેનારની વાતમાં રસ નથી;
વાત જો  ક્રાંતિવીરની કરવી હોય તો આઝાદ અને ભગતસિંહની કર, ગોરા અંગ્રેજને માય લોર્ડ કહેનારાઓની વાતમાં રસ નથી.

વાત જો મર્યાદાની કરવી હોય તો શ્રી રામની કર, રામના નામે કાળા કામ કરનારની વાતમાં રસ નથી;
વાત જો વફાદારીની કરવી હોય તો સીમા પર તૈનાત ફોજીની કર, પૈસા લઇ પક્ષ બદલતા નેતાની વાતમાં રસ નથી.

(નોંધ : ચેતક એ મહારાણા પ્રતાપ ના અશ્વનું અને રામપ્રસાદ એ એમના હાથીનું નામ હતું.)


આશિષ એ. મહેતા


Creative Commons License



વાતમાં રસ નથી   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, October 16, 2021

મારી કેસ ડાયરી : ફુલાજી અને મનુભાઈ

 પ્રિય વાંચકમિત્રો,



“સાહેબ, આપણે આપણી સ્ટાઇલ મુજબ કારીગરી કરી નાખી અને ખેડૂતોની સહિઓ લઇ લીધી. બાનાખત તૈયાર અને આ એની નકલ. હવે આગળ કેસ તમારે લડવાનો અને જે તોડ થાય એમાં તમારો ભાગ.”

ભગવાન કે કુદરતનો કેટલાક વ્યક્તિઓને કોઈ જ ડર નથી લાગતો અગર તો તેઓ રાખતા નથી.

વર્કિંગ દિવસની એક વ્યસ્ત સાંજે અજયભાઈની ઓફિસમાં એમની ચેમ્બરમાં અજયભાઈ અને અભિજાત બેઠા હતા. સામેના સોફામાં ચિંતન બેઠો હતો અને અજયભાઈની સામેની ખુરશી પર સફેદ ખાદીના પેન્ટ-શર્ટમાં આશરે ૫૫-૫૮ વર્ષની વયના એક વ્યક્તિ બેઠા હતા. વાતચીતમાં જાણવા મળ્યું કે એમનું નામ મનુભાઈ છે અને એ જમીનના ખરીદ વેચાણનો ધંધો કરે છે. સાથે સાથે જરૂરિયાત વાળા, લોભી અને લાલચુ વ્યકિતઓને વ્યાજે પૈસા આપી એમની જોડેથી કારીગીર દ્વારા કોરા પાના પર સહીઓ લઇ લેવાની અને પછી જમીનના કે મકાનના પેપર તૈયાર કરાવી એના આધારે કેસ દાખલ કરવાનો અને તોડ કરવાનો. મનુભાઈએ અજયભાઈને આવા જ એક બનાખતની નકલ આપી અને વાત આગળ ચલાવી.

“સાહેબ, એવું છે કે કેટલાક લોકો જોડે લક્ષ્મીમાતા જાય એ યોગ્ય નથી. આપણે ખોટી જગ્યાએ ગયેલા લક્ષ્મીમાતાને કારીગરી દ્વારા આપણી જોડે લાવી યોગ્ય ઉપયોગ કરીએ છીએ. હવે, આ જ પેપર જુઓ. જેના નામે જમીન છે એને મહેનત કરવી નથી. એની સવાર જ દેશી દારૂથી પડે છે. પાનના ગલ્લે આખો દિવસ પસાર થાય. બીડી-મસાલા અને દારૂ એ એની દૈનિક જીવન શૈલીનો હિસ્સો. એને વ્યાજે પૈસા જોઈતા હતા. આપણે એને પૈસા આપ્યા અને કોરા પેપરમાં સહિ મેળવી લીધી. એની જમીનની નકલ અને આધાર કાર્ડ પરથી આ બાનાખત તૈયાર થઇ ગયું. હવે આગળ તમારે કેસ દાખલ કરવાનો અને લડવાનો. આપણે કેસ જલ્દી પૂરો કરવાની કોઈ ઉતાવળ નથી.”

ચિંતન આભો બનીને આ આખી વાત સાંભળી રહ્યો હતો. સામે પક્ષે અજયભાઈ એમના સ્વભાવ અને અનુભવના કારણે સ્થિતપ્રજ્ઞ બનીને આખી વાત સાંભળી રહ્યા હતા.

એ જ સમયે ઇન્ટરકોમ રણકી ઉઠ્યો. પંક્તિએ સુચના આપી કે, “સર, ફુલાજી આવ્યા છે.”

“એમને કોન્ફરન્સ રૂમમાં બેસાડો. ચા-કોફી જે કહે એ આપો અને જો એ બીડી પીવે તો ના ન પડતા ખાલી સ્મોક ડીટેકટર બંધ કરી દેજો.”

થોડી વાતચીત બાદ અજયભાઈની સામે બેસેલ વ્યક્તિએ વિદાય લીધી એટલે અજયભાઈએ ફુલાજીને અંદર બોલાવ્યા.

“જય શ્રી કૃષ્ણ, સાહેબ, કેમ છો?”

પાતળો, ઉંચો દેહ, ત્વચાનો રંગ તડકામાં કરેલ સખત મહેનતની સાબિતી આપતો હોય તેવો કાળો, દેશી ધોતી, ઉપર આખી બાંયનું સફેદ પહેરણ અને માથે ગાંધી ટોપી, ઉંમર લગભગ ૭૦ ઉપરની પણ સખત મહેનતના કારણે બિલકુલ ટટ્ટાર દેહ.

અજયભાઈને નમસ્કાર કરી, એમની સામે બેસી વાત શરૂ કરી, “સાહેબ તમે જાણો જ છો કે, મેં મારી જમીન પર તમારા બાપુજી જોડેથી પૈસા લીધા હતા અને એ હજુ પાછા નથી આપી શક્યો. હવે મારી ઉમર થઇ. મને મારા સંતાનો પર ભરોસો નથી અને તમારા બાપુજી અને મારા વચ્ચે પણ કોઈ લખાણ નથી. વિનંતી કરું કે, તમે મારી જોડે જમીનનો હિસાબ કરી જમીન તમારા નામે કરાવી લો.”

“કાકા, તમે નાહક ચિંતા કરો છો. મારે જમીન નથી લેવી અને મને તો આ આખી વાતની કોઈ જ જાણ નથી. તમે જ મને જણાવ્યું. કાકા, વર્ષો પહેલાની વાત છે આ અને મને પણ મારા પપ્પાએ આની કોઈ જ વાત નથી કરી તો તમે પણ ભૂલી જાવ ને. આજે પ્રભુ કૃપાથી અને આપ જેવા વડીલોના આશીર્વાદથી મારી પર લક્ષ્મીજીની અને સરસ્વતીજીની બંનેની કૃપા છે.”

“સાહેબ, મારે માથે ઋણ લઇને મરવું નથી. તમારા બાપુજીએ મને જે રકમ આપી હતી એ રકમમાં એ સમયે તેઓ મારી જમીન ખરીદી શક્યા હોત, પણ એમણે લખાણ ના કર્યું. ખાલી મારી જબાન પર ભરોસો રાખીને પૈસા આપ્યા અને મારો એ નબળો સમય કાઢી આપ્યો. આજે જમીનના ભાવ આસમાને છે અને મારા સંતાનો પર મને ભરોસો નથી. તમે તમારી રીતે રસ્તો કાઢો અને મારા સહિ-મત્તા લઇ લો.”

“સારું કાકા. આવતા રવિવારે હું ગામડે આવું એટલે ભેગા થઇ રસ્તો કાઢીએ.”

“ભલે સાહેબ, જય શ્રી કૃષ્ણ.” કહી ફૂલાજીએ વિદાય લીધી.

ફુલાજી વિદાય થયા પછી અજયભાઈએ ચિંતન સામે જોયું. ચિંતનના ચહેરા પર અસમંજસ હતી.

“દુનિયા છે ચિંતન, રામ અને રાવણ બંને અહિયાં જ આપણામાં જ છે. વ્યક્તિના વર્તન પરથી ખબર પડે કે એના અંતરમનમાં રામ છે કે રાવણ. જોને આજની જ બે ઘટના, એક વ્યક્તિએ બીજાને ગેરમાર્ગે દોરીને પેપર તૈયાર કરાવ્યા અને બીજા છે કે જેમણે મારા પપ્પા પાસેથી પૈસા લીધા એ સમયે કોઈ જ લખાણ કર્યું ન હતું અને આજે આટલા વર્ષો બાદ પણ મને જુના ભાવે જમીન લઇ લેવા જણાવે છે.”

“સાહેબ, કેટલીક વખત વિચારે ચઢી જવાય છે કે આજનો ભણેલો માનવી સારો કે જુના જમાનાના દેશી માણસો સારા. પણ, એ વાત સાચી કે રામ અને રાવણ બંને આપણી અંદર જ છે.”

“ચાલ, નીકળીએ, આઠ વાગી ગયા.” અજયભાઈએ જણાવ્યું અને રામજીને ઓફીસ વસ્તી કરવા સુચના આપી.


આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : ફુલાજી અને મનુભાઈ    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/ 

Saturday, October 9, 2021

મારી કેસ ડાયરી : રાઘવજીકાકા

પ્રિય વાંચકમિત્રો,


“કેટલીક ઘટનાઓ એવી બને છે જે આપણને વિચારવા માટે મજબૂર કરી મુકે.” હાથમાં રહેલ કોફીના મગમાંથી એક સીપ ભરીને એડવોકેટ અજયભાઈએ વાત શરૂ કરી. રજાનો દિવસ હોવાથી કોઈ ખાસ કામ ન હતું. અજયભાઈની ચેમ્બરમાં અભિજાત અને ચિંતન બેઠા હતા. આમ તો, એવું બન્યું હતું કે, અજયભાઈ દિવાળીની રજાના દિવસોમાં એમના વતન ગયા હતા અને લગભગ એક અઠવાડિયું ત્યાં રોકાયા હતા. ત્યાંથી પાછા આજે સવારે જ આવ્યા હતા અને એ જ સાંજે ઓફિસમાં ડાયરો જામ્યો હતો. ચિંતને એના સ્વભાવગત જ પૂછી લીધું હતું કે, “સાહેબ, બહુ દિવસે મળ્યા, કંઇક નવાજૂની થવા દો.” અને ચિંતનની વાતના અનુસંધાનમાં અજયભાઈએ વાત શરૂ કરી હતી.

“રાઘવજીકાકા અમારા ગામના એક પ્રતિષ્ઠિત ખેડૂત. એમના પિતા તરફથી તો એમને માંડ બે વીઘા જમીન જ વરસામાં મળી હતી. પણ, રાઘવજીકાકાએ એમની જાત મહેનત, બચત અને આવડતથી પોતાની જાત કમાણીની બીજી પચાસેક વીઘા જમીન ખરીદી અને ખેતી કરતા. એમના લગ્ન મેનાકાકી જોડે થયા હતા અને મેનાકાકી એ પણ ભેંસો રાખી પતિની સાથે જ ખભેખભો મિલાવી મહેનત કરી હતી. સંતાનમાં ત્રણ દીકરા. રાઘવજીકાકાએ ત્રણે દીકરાઓને ભણાવ્યા, સમયે સારું ઘર જોઈ પરણાવ્યા. બીજો દીકરો પરણાવ્યો એટલે પહેલા દીકરાને શહેરમાં ફ્લેટ લઇ આપ્યો અને એ જ રીતે નાના દીકરાને પરણાવ્યો એટલે બીજાને પણ શહેરમાં ફ્લેટ લઇ આપ્યો. થોડા સમય પછી નાના દીકરાને પણ શહેરમાં જ નોકરી મળી ગઈ એટલે એ પણ શહેરમાં રહેવા ગયો અને રાઘવજીકાકાએ એને પણ ફ્લેટ લઇ આપ્યો. ઉંમર થઇ એટલે એમણે જાતે ખેતી કરવાના બદલે એમના જ કુટુંબના એક છોકરા રમેશને ભાગીયો–સાથી તરીકે રાખ્યો. કાળનું કરવું અને રમેશના માં-બાપ એક જ વર્ષમાં ગુજરી ગયા. રમેશે રાઘવજીકાકા અને મેનાકાકીની સેવા સગા દીકરાની માફક જ કરી. રાઘવજીકાકાએ એને પણ પરણાવ્યો અને ગામમાં જ એનું મકાન કરી આપ્યું. બધું સરસ રીતે ગોઠવાઈ ગયું હતું. રમેશ રાઘવજીકાકાને ખેતીમાં મદદ કરે અને એની વહુ રમીલા મેનાકાકીને ઘરકામમાં.

સમય પસાર થતો ગયો અને રાઘવજી કાકાના ત્રણે સંતાનો શહેરની હવામાં રંગાઈ ગયા. જમીનોના વધતા જતા ભાવ ઉપર ત્રણેની દાનત બગડી રહી હતી. ત્રણે દિકરાઓએ શહેરમાં મોટા મકાન મોટી ગાડી અને આરામપ્રિય જીંદગીના સપના જોવાના શરૂ કરી દીધા. પણ, ત્રણેમાંથી એકની પણ હિંમત નહિ કે રાધવજી કાકાને જમીન વેચી તેના ભાગ પાડી આપવાનું કહે. 

આખરે, ત્રણે જણાએ એક યોજના બનાવી, દિવાળીના વેકેશનમાં ત્રણે દિકરાઓ એમની ધર્મપત્નીઓ અને સંતાનો સહિત ગામમાં રોકાવા આવ્યા. રાઘવજી કાકા અને મેનાકાકીના મનમાં આનંદ આનંદ છવાઈ ગયો. દિવાળીના તહેવારના દિવસો સરસ રીતે સુખ શાંતિથી પૂરા થયા. એક સાંજે, ત્રણે દિકરાઓ વાળુ પરવારીને ફળિયામાં ખાટલા ઉપર ગોઠવાઈ ગયા. ત્રણેમાંથી કોઈ બોલતું ન હતું એટલે અનુભવી રાઘવજી કાકાએ પૂછ્યું , "કંઈ મુંઝવણ છે? કંઈ કહેવું છે? તો મુંઝાયા વગર બોલો."   
આખરે શબ્દો ગોઠવીને નાનાએ વાત શરૂ કરી, "બાપુજી, હવે તમારી અને બાની પણ ઉંમર થઈ. તો એક કામ કરીએ તો, બધી જમીન વેચી નાખીએ અને તમે બંને અમારા ભેળા રહેવા આવી જાવ. દરેક  છોકરાના ભેગા ચાર ચાર મહિના રહેવાનું." 
રાઘવજી કાકા કંઈ બોલે એ પહેલા જ વચેટ દિકરાની વહુ બોલી, "આમ પણ આ મિલકત ઉપર વહેલો કે મોડો અમારો જ હક છે ને." 
છોકરા અને વહુના મનોભાવો સમજી ગયેલ જમાનાના અનુભવી રાઘવજીકાકાએ એટલું જ કીધું, "સારૂ વિચારીએ."

દિવાળી પછી હું પણ મારા વતન ગયો હતો. ત્યારે રાઘવજી કાકાએ મને બોલાવ્યો હતો. મને પૂછ્યું કે, "મારા સંતાનોનો ભાગ મારી બધી જ મિલકતમાં પડે?" સવાલ સીધો હતો અને પાછળની વેદના અસહ્ય એટલે મેં વિસ્તારે વાત પૂછી ત્યારે મને હકીકતની ખબર પડી. મેં કાકાને કીધું કે, "તમારી વડીલો પાર્જિત મિલકતમાં તમારા સંતાનોનો વારસાઈની રૂઈએ હક લાગે પણ તમારી સ્વપાર્જિત મિલકતોનો વહીવટ તમે ઈચ્છો તે રીતે તમે કરી શકો." મારા જવાબથી તેમને સંતોષ થયો. અમારા ગામમાં હજુ પણ કેટલાક પ્રશ્નો માટે સરપંચ કહે તે નક્કી રાખવું પડે છે. 
રાધવજી કાકા સરપંચને મળ્યા અને વાત જણાવી સાથે સાથે કાયદાની જોગવાઈ મુજબ મારો અભિપ્રાય પણ સરપંચને જણાવ્યો. સરપંચે મને પણ બોલાવ્યો અને મારી સાથે ચર્ચા કરી.  એ સાંજે રાઘવજીકાકાએ એમના ત્રણે દિકરાને કહ્યું કે, આવતીકાલે સરપંચ જે કહે તે મુજબ કરીશં. તમારી વાત સરપંચને કરી, સરપંચે પણ કહ્યું કે છોકરાઓની વાત ખોટી નથી. એટલે આવતીકાલે તમારા મુદ્દા ઉપર પંચાયતમાં નિર્ણય કરવાનો એવું નક્કી કર્યું છે. 

બીજા દિવસે સાંજે પંચાયત ભરાઈ હતી. હું પણ એમાં હાજર હતો. ગામના ચોરે ખાટલાઓ ગોઠવાઈ ગયા હતા. વચ્ચેના ખાટલા ઉપર સરપંચ બેઠા એક બાજુ રાઘજી કાકા અને એમનો પરિવાર અને બીજી બાજુ ગામના અન્ય આગેવાનો. 
સરપંચે બોલવાનું શરૂ કર્યું, "કળિયુગમાં દિકરા બાપની કદર કરે, દેખભાળ કરે એ ભગવાનની દયા જ ગણાય. આપણા જ ગામના રાઘવજી ભાઈ અંહિયા તેમના પત્ની સાથે રહે છે અને ત્રણે દિકરાઓ શહેરમાં તેમના પરિવાર સાથે. દિકરાઓને ચિંતા થઈ કે ઘડપણમાં બા બાપુજીનું શું? એટલે, છોકરાઓ રાઘવજીભાઈની ભેળા રહેવા માંગ છે. બરાબરને છોકરાઓ?"  સરપંચે રાઘવજી કાકાની બાજુમાં ઉભા રહેલ ત્રણે છોકરાઓ સામે જોઈને કહ્યું. ત્રણે એ લગભગ સાથે જ જવાબ આપ્યો, "હા બરાબર." 
"અને આ આપણા ગામનો છોકરો અજય જે શહેરમાં બહુ મોટો વકીલ છે એનું કહેવું એવું છે કે કાયદા મુજબ રાઘવજી કાકાની વડીલોપાર્જિત મિલકતમાં આ ત્રણે છોકરાઓનો અને રાઘવજી ભાઈના પત્નીનો સરખો હક લાગે." સરપંચે વાત આગળ વધારતા કહ્યું. "છોકરાઓની લાગણી અને માંગણી અને રાઘવજી ભાઈની ઉંમર જોતાં .. ..." સરપંચે થોડો વિરામ લીધો જાણે વિચાર કરતા હોય તેમ અને પછી કોઈ ચોક્કસ નિર્ણય ઉપર આવ્યા હોય તે રીતે સરપંચે રાઘવજીકાકાની સામું જોયું અને બોલ્યા, “રાઘવજીભાઈ, તમારે ચાર-ચાર મહિના વારફરથી આ ત્રણ છોકરાઓ ભેગા રહેવાનું.” આટલી વાત સાંભળી ત્રણે છોકરાઓ અને વહુઓના મોઢા હસું હસું થઇ ગયા જાણે એમની મનની મુરાદ પૂરી થઇ. થોડી વાર અટકી સરપંચે પૂછ્યું, “પાક્કું?”

“હા.” રાઘવજીકાકાએ જવાબ આપ્યો.

“બસ તો રાઘવજીકાકા, તમારે તમારી બે વીઘા જમીન બજાર ભાવે વેચી દેવાની. એની જે રકમ આવે એના ચાર ભાગ પાડવાના અને એક ભાગ તમારો રાખી બાકીના ભાગ તમારા દીકરાઓને આપી દેવાના.”

એ પછી રાઘવજીકાકા બોલ્યા, “સરપંચજી, ભેગા ભેગું એ પણ આ કપતારોને કહી દો કે વારાફરથી એક એક મારી ભેળો રહેવા આંય આવે, ચાર મહિના માટે હું એમનો બાપ એમને ખવડાવીશ. પણ બાકીના આઠ મહિના મારી સામું આશા નો રાખે અને આ બે વીઘા જમીનના એમના ભાગના જે રૂપિયા આવે ઈમાંથી એમને મકાન સારુ જે રકમ આપી એ હું બાદ કરી દઈશ. છોકરાઓ ભેગા ક્યાં રહેવું એ નિર્ણય મારે લેવાનો છે. ”

સરપંચ પણ હસી પડ્યા અને બોલ્યા, "હા ભાઈ એ તો તમારો જ  નિર્ણય ને લોકશાહી દેશ છે. તમારો અધિકાર છે. છોકરાઓ હવે તમે નક્કી કરો કે કોણ કયા ચાર મહિના રાઘવજીભાઈ ભેગા અંહિયા રહેવા આવશે? બાકી ગામમાં કોઈ માણહ ક્યારેય એકલું નથી હોતું. અંહિયા તો એક અવાજ ઉપર મદદ માટે ગામના બધા જ ઘરના લોકો આવીને ઉભા રહી જાય છે.  લ્યો તારે સભાને રામ રામ.. " કહી સરપંચ ઉભા થઈ ગયા. અને રાઘવજી કાકાના ખભે હાથ મૂકીને  કહે, "ચાલ દોસ્ત મંદિરે જઈને બેસીએ." રાઘવજી કાકાના ત્રણે દિકરાઓ વીલા મોઢે બંને મિત્રોને જતા જોઈ રહ્યા. 

એ પંચાયત કદાચ આખી જીંદગી યાદ રહી જાશે. રાઘવજીકાકાની વાત ખોટી તો ન જ હતી. જે બાપે મિલકત વસાવી, ભણાવ્યા, પરણાવ્યા, મકાન કરી આપ્યા એને જ હેરાન કરવાનો? એ દિવસે સરપંચજીની કોઠા સૂઝ પર માન થઇ આવ્યું. ગામઠી માણસ કોઠા ડાહ્યા હોય એ સાંભળ્યું હતું એ પંચાયતમાં અનુભવી પણ લીધું.”

હાથમાં રહેલો કોફીનો મગ ટીપોઈ ઉપર મુકતા અજયભાઈએ વાત પૂરી કરી.


આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : રાઘવજીકાકા    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/ 

Saturday, October 2, 2021

શું હું માણસ નથી?

રંગ મારી ત્વચાનો ભીનો છે તો શું હું માણસ નથી?
ભલે તમારા વતનનો નથી પણ શું હું માણસ નથી?
સ્વભાવે સીધો, સરળ, લાગણીશીલ અને વળી ભોળો છું,
સિધ્ધાંતવાદી, કપટથી દૂર છું, તેથી શું હું માણસ નથી?

ઉચ્ચ શિક્ષિત છું અને પાસે મુસાફરીની ટિકિટ પણ છે,
મારી જ નિયત જગ્યાએ હું બેઠો હતો,
હાડ ઓગળતી ઠંડીમાં સાવ અધવચ્ચે અપમાનિત કરી ઉતારી મુક્યો,
ઉતારી મુકનાર અમલદાર છે તો શું, જેને ઉતાર્યો એ હું માણસ નથી?

સત્તાનું આ ગોરાઓને આટલું ગુમાન છે કે સરસ્વતીનું પણ સન્માન નથી,
તો મારા દેશના ગરીબ લોકોને કેટલી થતી હશે હેરાનગતિ,
એ શાસક છે તો જેના ઉપર શાસન કરે છે તે બંધ શું માણસ નથી?
ગુલામ હોવાથી માણસ તરીકેનો જો કોઈ અધિકાર નથી, તો ગુલામીથી મોટો કોઈ અભિશાપ નથી.

શોધતો હતો મારા જીવનનું લક્ષ્ય આજ સુધી,
મધરાતે જ સહી આજે અનાયાસે ગયું મને મળી,
વતન જઈ વતન કાજે વ્યતીત કરવું હવે જીવન મારૂં,
મારા વતનને ગુલામીમાંથી મુક્ત કરાવવું એ જ સ્વપ્ન હવે મારૂં.

જન જાગૃતિ, સ્વાભિમાન અને લોક ચેતના જગાડવી છે હવે મારે,
માનસિકતા બદલીને મારા દેશમાં સ્વાધીનતાની ભૂખ જગાડવી છે મારે,
માણસ થઇ માણસ ઉપર કરવી હકુમત એ માણસાઈ નથી,
શાસક પણ માણસ જ છે કોઈ ભગવાન નથી.


સાઉથ આફ્રિકામાં ડરબન શહેરમાં ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં મહાત્મા ગાંધીને રંગભેદની નિતીના કારણે મધ્યરાત્રીએ ટ્રેનમાંથી ઉતારી મુકવામાં આવેલ તે સમયે એમને કાયા વિચારો આવ્યા હશે તે રજૂ કરવાનો નમ્ર પ્રયાસ


આશિષ એ. મહેતા


Creative Commons License



શું હું માણસ નથી?    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/