Saturday, October 23, 2021

વાતમાં રસ નથી

વાત જો વજન વાળી હોય તો કર, ક્ષુલ્લક વાતોમાં રસ નથી;
પડદા અંતરના અને આંખોના ખોલે એવી વાત હોય તો કર, ફોતરા ઉખાડે એવી વાતોમાં રસ નથી.

વાત જો પ્રતિજ્ઞાની કરવી હોય તો ભીષ્મની કર, તૂટે એવી પ્રતિજ્ઞાની વાતમાં રસ નથી;
વાત જો પ્રેમની કરવી હોય તો રાધા અને રૂક્ષ્મણીની કર, રોમિયો જુલિયટની વાતમાં રસ નથી.

વાત જો વફાદારીની કરવી હોય તો ચેતક અને રામપ્રસાદની કર, જયચંદ જેવા ગદ્દરની વાતમાં રસ નથી;
વાત જો ખુમારીની કરવી હોય તો રાણા અને શિવાજીની કર, પૈસા ખાતર વેચાઈ જાય એની વાતમાં રસ નથી.

વાત જો ભક્તિની કરવી હોય તો મીરા અને નરસિંહની કર, દેખાડાની ભક્તિ કરનારની વાતમાં રસ નથી;
વાત જો ગુરૂની કરવી હોય તો શંકરાચાર્ય અને ગુરૂ ગોવિંદસિંહજીની કર, બની બેઠેલા ધુતારાઓની વાતમાં રસ નથી.

વાત જો નેતાની કરવી હોય તો સુભાષચન્દ્ર અને શાસ્ત્રીજીની કર, જાતને પંડિત અને મહાત્મા કહેનારની વાતમાં રસ નથી;
વાત જો  ક્રાંતિવીરની કરવી હોય તો આઝાદ અને ભગતસિંહની કર, ગોરા અંગ્રેજને માય લોર્ડ કહેનારાઓની વાતમાં રસ નથી.

વાત જો મર્યાદાની કરવી હોય તો શ્રી રામની કર, રામના નામે કાળા કામ કરનારની વાતમાં રસ નથી;
વાત જો વફાદારીની કરવી હોય તો સીમા પર તૈનાત ફોજીની કર, પૈસા લઇ પક્ષ બદલતા નેતાની વાતમાં રસ નથી.

(નોંધ : ચેતક એ મહારાણા પ્રતાપ ના અશ્વનું અને રામપ્રસાદ એ એમના હાથીનું નામ હતું.)


આશિષ એ. મહેતા


Creative Commons License



વાતમાં રસ નથી   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment