Saturday, December 19, 2020

મારી કેસ ડાયરી : દાસ બાપુ

પ્રિય વાંચકમિત્રો,



વર્કિંગ ડેની સાંજ હતી અને ચિંતન એના મિત્રાધિકારે એડવોકેટ અજયભાઈની ઓફિસમાં દાખલ થયો. રીસેપ્શન એરિયામાં ઘણા વ્યક્તિ બેઠા હતા અને ઓફિસની બહારની શુ રેક પૂરેપૂરી ભરાઈ ગયેલી હતી એ એની નજર બહાર ન હતું. રીસેપ્શન પર પંક્તિને હાય કર્યા બાદ ઈશારાથી પૂછ્યું, “આટલી ભીડ કેમ છે આજે?” 

પંક્તિએ એનું ચીરપરિચિત સ્માઈલ આપ્યું અને ચિંતનને જવાબ આપવાના બદલે ઇન્ટરકોમ પર અજયભાઈને ચિંતનના આગમનની જાણ કરી અને “ઓકે, સર” કહી ફોન કટ કરી ચિંતનને અંદર જવા જણાવ્યું.

ફૂલ હાઈટનો ગ્લાસ ડોર ખોલીને, "આવું સાહેબ?” કહી ચિંતન અંદર દાખલ થયો. પણ, આજે અંદરની ચેમ્બરનું દ્રશ્ય અલગ જ હતું. અજયભાઈની ચેરમાં આજે એક ભગવા વસ્ત્રધારી પ્રભાવી મહાત્મા બેઠા હતા. ચહેરા પરથી આશરે ૬૫ વર્ષની ઉંમર જણાઈ આવતી હતી. સફેદ દાઢી અને જટા, કપાળમાં નારયણ તિલક કરેલું હતું. સપ્રમાણ બાંધો. ગળામાં તુલસીની માળા સાથે રુદ્રાક્ષની માળા હતી. ચહેરા પર સ્મિત રમતું હતું. એમની સામે ની ખુરશીઓમાં અજયભાઈ અને અભિજાત બેઠા હતા. "આવ, ચિંતન" કહી અજયભાઈએ ચિંતનને બાજુની ખુરશીમાં બેસવા કહ્યું અને સામે બેઠેલ મહાત્માને જણાવ્યું, “બાપુ, આ ચિંતન અમારો મિત્ર.” ચિંતને પણ બે હાથ જોડી પ્રણામ કર્યા અને અજયભાઇની બાજુમાં બેઠો. મહાત્માએ એમના એક સેવકને બૂમ મારી બોલાવ્યો અને પૂછ્યું, “અલા પ્રાગજીભાઈ, નાસ્તાને કેટલી વાર છે અને જુઓ આ અજયભાઈના મિત્ર છે એમની પણ ગણતરી કરી લો.” “બાપુ, નાસ્તો બસ બે-પાંચ મીનીટમાં જ આવે છે. ડ્રાઈવર ગાડી પાર્ક કરીને ઉપર આવે એટલી જ વાર. પછી સામે મોટા રૂમ (અજયભાઈની ઓફિસનો કોન્ફરન્સ રૂમ) માં ગોઠવણી કરીએ.” પ્રાગજીભાઈ નામના એ સેવકે પ્રત્યુત્તર આપ્યો. “સારું, થોડી ઝડપ કરજો હો, પાછું આશ્રમે જવાનું છે.” બાપુએ ટકોર કરી. “હા, બાપુ” કહી એ સેવક ચેમ્બરની બહાર ગયા. થોડીવારમાં આવીને બાપુને કહ્યું, “બાપુ, પધારો ડીશો ગોઠવાઈ ગઈ છે.” “ચાલો, વકીલ સાહેબ.” કહી બાપુ ઉભા થયા અને અજયભાઈનો હાથ પકડી સાથે લઇ ગયા અને એમની પાછળ પાછળ અભિજાત અને ચિંતન પણ બાપુના કહેવાથી ઉભા થયા.

કોન્ફરન્સ રૂમમાં તો જાણે અન્નકૂટ ભરાયો હતો. નાસ્તાની અલગ-અલગ ડીશોમાં ગાંઠિયા, ફાફડા, જલેબી, ગોટા, દાળવડા, ખમણ, સેવખમણી, ગુલાબજાંબુ, અલગ અલગ ચટણીઓ ગોઠવાયેલ હતા. બાપુએ એક ખુરશીમાં સ્થાન લીધું અને પ્રાગજીભાઈને કીધું, “બહાર પેલા બહેન (પંકિત)ને એક ડીશ અલગ આપી દો અને બીજા સેવકોને બોલાવી લો.”

સેવકે અક્ષર: સૂચનાનું પાલન કર્યું. થોડી વારમાં ચા-નાસ્તો પૂર્ણ થયો અને બાપુએ અજયભાઈ પાસેથી વિદાય લીધી. જતા જતા પ્રાગજીભાઈએ એક બંધ કવર અજયભાઈના હાથમાં મુક્યું અને અજયભાઈએ આદરપૂર્વક બાપુને પ્રણામ કર્યાં. બાપુ અને એમના સેવકગણ વિદાય થયા બાદ ઓફિસમાં માત્ર સ્ટાફના વ્યક્તિઓ અને ચિંતન જ રહ્યા. ચિંતનના ચહેરા પર એક પ્રશ્ન હતો, જે અજયભાઈએ ક્યારનોય વાંચી લીધેલ, જે હતો “આ બાપુ કોણ?”

“આમનું સાચું નામ તો મને ખબર નથી, પણ લોકો એમને "દાસ બાપુ" તરીકે ઓળખે છે. ભજનાનંદી મહાત્મા છે અને વિરમગામથી આગળ એમનો આશ્રમ છે. સ્વભાવના એકદમ સરળ, નિખાલસ. એમના આશ્રમની ગૌશાળા માટે આજથી પાંચેક વર્ષ પહેલા એમણે જમીન ખરીદી હતી અને એના ટાઈટલ, દસ્તાવેજ, વગેરેની કામગીરી આપણને સોંપેલ. એમને આપણો સંપર્ક કોના દ્વારા થયો એ તો હજુ સુંધી એમણે મને પણ નથી કીધું. મને ખાલી એટલું જણાવેલ કે, “લાલજી (ભગવાન શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ) મહારાજનો આદેશ છે અને આ કામગીરી તમારે કરવાની છે. આપણે લાંબા સમય સુધી આ કામ ચાલવાનું છે.” એ સમયે તો મને એમની વાતમાં એવું કંઈ ખાસ લાગેલ નહીં અને મેં પણ સામાન્ય કરતા વધારે ફી કહી દીધી જે એમણે મને તરત જ ચૂકવી આપી હતી. એ સમયે આપણે એમની જમીનના ટાઈટલ અને દસ્તાવેજનું કામ કરી આપેલ અને રેવન્યુ રેકર્ડે આશ્રમનું નામ પણ દાખલ કરાવી આપેલ. એ વખતે મને એમ લાગ્યું હતું કે કામ પતી ગયું છે. પણ, ના એવું ન હતું. એ જમીન અંગે ગામના એક વિઘ્ન સંતોષીએ રેવન્યુ તકરાર દાખલ કરી અને કોર્ટમાં દાવો દાખલ થયો. બાપુએ મને એ સમયે ફરી કીધું, “મેં કીધું હતું ને, આપણે લાંબા સમય સુધી આ કામ ચાલવાનું છે.” ત્યારે મને એમની ગૂઢ શક્તિનો પરિચય થયો. પછી આપણે એ દાવો અને રેવન્યુ તકરાર લડ્યા. સમય પસાર થતો ગયો એમ એમ બાપુના સ્નેહનો પરિચય થતો ગયો. ગયા વર્ષે બાપુના ત્યાં ભંડારો હતો. હું અને અભિજાત બંને ગયા હતા. ત્યારે બાપુએ કીધું કે, "બસ, પ્રભુ-કૃપાથી સમય થવા આવ્યો છે. આવતા ભંડારા પહેલાં આ કામ પતી ગયું હશે.” થયું પણ એવું જ. જેણે દાવો દાખલ કર્યો હતો એણે સામેથી જ છ મહિના પહેલાં એક પણ પૈસો લીધા વગર સમાધાન કર્યું. કોર્ટ કાર્યવાહી તો પતી ગઈ. એ પછી બાપુએ એક વખત સામેથી કીધું હતું કે, “મારે તમારી ઓફીસ આવવાનું થશે.” આજે સાંજે ઓચિંતો જ પ્રાગજીભાઈનો ફોન આવ્યો કે, “બાપુ આજે તમારી ઓફીસ આવે છે.” તું માનીશ, કોઈ કારણ હશે કે આજે સાંજે કોઈ જ મીટીંગ ન હતી. બાપુ આવ્યા અને આ નાસ્તા પાણીનો ખર્ચો પણ એમનો જ. એમના આશ્રમ પર હું બે કે ત્રણ વખત ગયો છું. બહુ શાંતિદાયક જગ્યા છે. મનને અનહદ આનંદ આપનાર. આપણે પણ એક વખત જઈશું, જો તને વાંધો ન હોય તો.” કહી અજયભાઈએ વાત પૂર્ણ કરી.

“જરૂર જઈશું, સાહેબ. તમારી જોડે જવામાં મજા જ આવે. પણ પેલું કવર આપ્યું એ શેના માટે?” ચિંતને પૂછ્યું.
“અરે, હા એ તો ધ્યાન બહાર જ ગયું. બાપુએ ફી તો આપી જ દીધી છે.” એટલું કહી અજયભાઈએ ખીસામાંથી કવર કાઢીને ખોલ્યું. એમાં પૈસા હતા, રોકડા રૂપિયા ૧૦,૦૦૦-૦૦. સાથે તુલસીની માળા અને એક ચિઠ્ઠી, “આને લાલજી મહારાજની પ્રસાદી ગણી રાખી લેશો. પ્રભુ કલ્યાણ કરે.”  

"લો બોલો, આપણે સાધુઓને માત્ર માંગતા જ જોયા છે અને આ બાપુ જુઓ, વગર માંગે આપે છે." કહી અજયભાઈએ તુલસીની માળા એમની ચેમ્બરમાં રહેલ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિના ગાળામાં પહેરાવી દીધી અને પૈસા ઓફિસના ખાતામાં જમા કરાવવા સારૂ પંક્તિને આપ્યા.



આશિષ એ. મહેતા



********************************************************************************************
********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : દાસ બાપુ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment